"જલદેવી! મેં શું તારા ભરણપોષણની જ વાત વિચારી હતી? એથી ઊંચું કંઈ જ નહિ?"
"એથી ઊંચું ઘણું ઘણું. તેમ છતાં મારે એ નહોતું સ્વીકારવું જોઈતું - કોઈ પણ લોભે નહિ. મારે મારી જાતને નહોતી વેચવી જોઈતી - કોઈ પણ કિંમતે નહિ. એથી તો મારા મનની મુક્ત પસંદગીની હલકામાં હલકી મજૂરી અથવા ચીંથરેહાલ ગરીબી બહેતર હતી."
"ત્યારે શું આપણે સગજીવનમાં ગાળેલાં આ પાંચ-છ વર્ષનો કાળ તારે મન દુઃખમય જ નીવડ્યો ને?"
"ના, એવું ન માનતા, દાક્તર! મને તો તમે જીવ સાટે સાચવી છે. મને સુખી કરવા સારુ મનુષ્ય મથી શકે તેટલા તમે મથી છૂટ્યા છો; પરંતુ ખરી વાત એ છે કે મેં તમારા ઘરમાં મુક્ત મનથી પગ નથી દીધો."
"મુક્ત મનથી નહિ? હાં હાં, ગઈ કાલ સાંજના તારા એ શબ્દો મને સાંભરે છે."
"બસ, એ શબ્દોએ મારી જીવન-સમસ્યાને સ્પષ્ટ કરી આપી છે. હવે હું ગોટાળાની બહાર નીકળી ગઈ છું. હવે હું જોઈ શકું છું."
"શું?"
"કે આપણું ભેળાં રહેવું એ ખરેખરું લગ્ન નથી."
દિલમાં દાઝો પડતી હોય, એક પછી એક અંગારા ચંપાતા હોય, તેવી વેદના પામતા દાક્તર બોલ્યા: "હા, હવે આપણે જ જીવન જીવીએ છીએ તે ખરું લગ્ન નથી."
"હવેનું - અને અગાઉ પણ એમ જ. પ્રથમ પગરણથી માંડીને અત્યાર સુધી કદી જ એ સાચું લગ્નજીવન નહોતું. મારું પહેલાનું એ લગ્ન પરિપૂર્ણ અને સાચું લગ્ન બની શક્યું હોત."
"પહેલાનું એટલે ક્યું?"
"મારું - એની સાથેનું."
"હું તારું કહેવું જરીકે સમજી શકતો નથી."
"ઓહ! દાક્તર! હવે આપણે પરસ્પરને છેતરવાનું છોડી દઈએ.