પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૨૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"જલદેવી! મેં શું તારા ભરણપોષણની જ વાત વિચારી હતી? એથી ઊંચું કંઈ જ નહિ?"

"એથી ઊંચું ઘણું ઘણું. તેમ છતાં મારે એ નહોતું સ્વીકારવું જોઈતું - કોઈ પણ લોભે નહિ. મારે મારી જાતને નહોતી વેચવી જોઈતી - કોઈ પણ કિંમતે નહિ. એથી તો મારા મનની મુક્ત પસંદગીની હલકામાં હલકી મજૂરી અથવા ચીંથરેહાલ ગરીબી બહેતર હતી."

"ત્યારે શું આપણે સગજીવનમાં ગાળેલાં આ પાંચ-છ વર્ષનો કાળ તારે મન દુઃખમય જ નીવડ્યો ને?"

"ના, એવું ન માનતા, દાક્તર! મને તો તમે જીવ સાટે સાચવી છે. મને સુખી કરવા સારુ મનુષ્ય મથી શકે તેટલા તમે મથી છૂટ્યા છો; પરંતુ ખરી વાત એ છે કે મેં તમારા ઘરમાં મુક્ત મનથી પગ નથી દીધો."

"મુક્ત મનથી નહિ? હાં હાં, ગઈ કાલ સાંજના તારા એ શબ્દો મને સાંભરે છે."

"બસ, એ શબ્દોએ મારી જીવન-સમસ્યાને સ્પષ્ટ કરી આપી છે. હવે હું ગોટાળાની બહાર નીકળી ગઈ છું. હવે હું જોઈ શકું છું."

"શું?"

"કે આપણું ભેળાં રહેવું એ ખરેખરું લગ્ન નથી."

દિલમાં દાઝો પડતી હોય, એક પછી એક અંગારા ચંપાતા હોય, તેવી વેદના પામતા દાક્તર બોલ્યા: "હા, હવે આપણે જ જીવન જીવીએ છીએ તે ખરું લગ્ન નથી."

"હવેનું - અને અગાઉ પણ એમ જ. પ્રથમ પગરણથી માંડીને અત્યાર સુધી કદી જ એ સાચું લગ્નજીવન નહોતું. મારું પહેલાનું એ લગ્ન પરિપૂર્ણ અને સાચું લગ્ન બની શક્યું હોત."

"પહેલાનું એટલે ક્યું?"

"મારું - એની સાથેનું."

"હું તારું કહેવું જરીકે સમજી શકતો નથી."

"ઓહ! દાક્તર! હવે આપણે પરસ્પરને છેતરવાનું છોડી દઈએ.