પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૨૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તમારું ભયંકર ખેંચાણ રહ્યું નથી. તમારું વશીકરણ પૂરું થઈ ગયું."

"તો છેલ્લા પ્રણામ, દરિયાપરી!" વિદેશી વાડ્ય વટાવીને બહાર ઊતરી ગયો. ત્યાંથી બોલ્યો: "આજથી તમે પણ મારા જીવનમાં કોઈ ડુબેલા વહાણ સમ બની રહેશો. ને હું જાણે કે એ વહાણમાંથી ઊગરી આવેલ મુસાફર છું એમ સમજીને જીવન પૂરું કરીશ." એટલું કહીને વિદેશી ચાલી નીકળ્યો.

દાક્તરથી હજુ જાણે કે મનાતું નથી કે શું સાચું છે, "જલદેવી! દરિયાના ભરતી-ઓટ જેવા જ જુવાળ તારા હ્રદયમાં ચડે-ઊતરે છે. આ પલટો ક્યાંથી આવ્યો?"

"પલટો આવ્યા વિના રહે જ કેમ? મુક્ત બનીને, પૂરેપૂરા છુટકારાની દશામાં પસંદગી કરવાની આવી ખરી ને!"

"ત્યારે શું તને એ અગમ સૃષ્ટિ આકર્ષતી નથી?"

"નથી એ આકર્ષતી, કે નથી બિવરાવતી. એના વશીકરણને અધીન જો મારે થવું હોત તો હું ચાલી જાત, એમાં દાખલ થઈ જાત. પણ એનો આધાર મારી પસંદગી ઉપર હતો. માટે જ હું આખરે એને ફેંકી દઈ શકી."

"હવે હું સમજી શક્યો છું, દેવી, કે તારા અંતરમાં આ સમુદ્ર માટેની ઝંખના, આ અજાણ્યા પરદેશી પ્રતિનું ખેંચાણ, આ તલખાટ અને વેદના - બધાં માત્ર સ્વતંત્રતા માટેના જ વધતા જતા પછાડા હતા: બીજું કશું જ નહોતું."

"એ તો હું નથી જાણતી. પણ, ઓ વહાલા દાક્તર, તમે આજે મારા રોગની સાચી પરખ કરી. તમે મારા ખરા વૈદ્ય બન્યા. તમે છેવટનો ઉપચાર કરવાની હિંમત બતાવી."

"હા, છેલ્લામાં છેલ્લી અણીને ટાણે, ખરા સંકટની ઘડીએ અમે દાક્તરો દરેક જાતનું જોખમ ખેડી જાણીએ છીએ. એ તો ઠીક, પણ હવે, દેવી, હવે ફરીવાર શું તું મારી નજીક આવી રહી છે?"

"સાચે જ હું તમારી ગોદમાં આવી પહોંચી છું, આવી શકું છું; કેમકે