પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એટલે કે આ રીતે એકસામટા ત્રણેય કલાકારોએ તનુમતીની ઈશ્વરી વિભૂતિઓમાંથી એક પરિપૂર્ણ સૌંદર્યનું સર્જન કરવાનો ધર્મ નક્કી કરી લીધો. કુમારભાઈનાં તથા શેખરનાં વાંકી છૂરી જેવાં બની ગયેલ નેણોએ કુમાશ ધારણ કરી લીધી.

પરંતુ સહુથી અગત્યનો મુદ્દો હંમેશા પાછળથી જ સૂઝે છે, એ સત્ય બિલાડીની ડોકે ટોકરો બાંધવાના ઉંદરોની પરિષદના પ્રશ્ન જેટલું પ્રાચીન છે; તનુમતીબહેનના પતિ પુરુષોત્તમદાસભાઈ આ જાતનો પાઠ કરવાની પરવાનગી પોતાની સ્ત્રીને આપશે કે નહિ?

પુરુષોત્તમદાસભાઈની પાસે હા પડાવવા જવાની હિંમત કોણે કરવી?

પુરુષોત્તમદાસભાઈ તો કરિયાણાના વેપારી છે: એ તનુમતીબહેનની કલધરતાને ક્યાંથી સમજી શકશે?

શિષ્ટ અને સંસ્કારી સમાજમાં સન્માતિન થવું એ માંડવીમાં સબળતા હિંગ-ધાણાજીરાના કીડાને ક્યાંથી ગમશે?

પુરુષોત્તમ નામ જ એટલું કલાહીન અને જુનવાણી હતું કે એના વારંવાર થતા ઉચ્ચારથી તનુમતીને અણગમતો ઊપજતો. કુમાર, ચંદ્રશેખર અને જનાર્દનનાં નામ-કુસુમોની વચ્ચે પુરુષોત્તમ નામ માટીના ઢેફા જેવું ભાસ્યું. હમણાં હમણાં તો તનુમતીને પતિના શરીર પર ઓચિંતાની મેદ ચઢેલી જણાયાથી, ને વાળ વધુ સફેદ બન્યા દીઠાથી, દુ:ખ થયું હતું તે તો હતું જ; તે ઉપરાંત, પતિના કરિયાણા-જીવનમાં એક કલાધરીને પિંજરવાસી સારિકા બની રહેવું પડે છે તે ખ્યાલથી તનુમતીને અચાનક આઘાત થયો.

સંધ્યા ઊતરતી હતી. નોકર ઝાડુ કાઢવા આવ્યો, તેને તનુમતીએ તે દહાડે ચાલ્યા જવાનું કહી દીધું. ચારેય જણાં આ પુરુષોત્તમભાઈની પરવાનગી વિષેનો તોડ કાઢવા બેઠાં.

અનેક પ્રશ્નો છણાયા : કજોડે પડી ગયેલી કન્યાઓનો; સ્ત્રી-હ્રદયને ન ઓળખી શકનાર બૂડથલ પુરુષોનો; ખુઇદ પોતાની પત્નીની જગપ્રસિદ્ધિ ઉપર પણ ખારે બળનાર પતિઓનો; સીધી દમદાટી દઈ સ્ત્રીને કબજે