પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.


કારભારી

[બનેલી ઘટના પરથી]

વતી કાલે સાંજે રાજા રાઓલજીના જામદારખાનામાંથી થોડાએક ઝવેરાતની હરાજી થવાની છે. ઝૂંઝા કામદારના સાળા દિલ્હીમાં નામાંકિત ઝવેરી હતા, તે આ હરાજીમાં ઊભા રહેવાને માટે સાંજની ગાડીમાં આવી પહોંચ્યા છે.

સ્ટેશન પર રાજનું કોઈ વાહન હાજર ન જોવાથી મહેમાન ભાડે ઘોડાગાડી કરીને બનેવીને ઘરે ગયા; માન્યું કે કાગળ પંહોચ્યો નહિ હોય.

ઘોડાગાડી શહેરની બજાર વચ્ચેથી નીકળી ત્યારે દુકાને દુકાનેથી ઝવેરીના અસ્વાગતની માર્મિક ચેષ્ટાઓ થતી ગઈ. પરંતુ હરાજી તો ઉઘાડેછોગ થવાની હતી, એથી સીધો તો કોઈ આક્ષેપ કોઈથી થઈ શકે તેવું હતું નહિ. ક્યો એવો માર્ગ છે કે જે માર્ગે કારભારી પોતાના સાળાને ખટાવશે ? લોકોને ગમ ન પડી. પણ ગમ ન પડી તો થઈ શું ગયું ? સાળો-બનેવી કોઈક ને કોઈક ઇલમ અજમાવ્યા વિના કંઈ થોડા રહેવાના છે ! ને કારભારી સાહેબને તો હવે જઈફી બેઠી: જમાનો બદલાઈ ગયો: હવે એ લાંબું નહિ ચલાવે: તો પછી જતાં જતાં થોડોઘણો હાથ માર્યા વિના તો થોડા જ રહેવાના ? રહે તો એના જેવો હૈયાફૂટો કોણ ! - તો તો એના કારભારામાં ધૂળ પડી !

"પણ ભાઈ," ડાહ્યા માણસો બોલી ઊઠતા: "હાથ મારવામાંય હિંમત જોઈએ છે. હાથ કેમ મારવો તે તો આ ગોરા એડમિનિસ્ટ્રેટરો જ જાણે છે: આમ જુઓ તો કડકા ને કડકા - તરવારની સજેલી ધાર જેવા; ને આમ નજર કરો તો પાંચ વર્ષે પેન્શન લઈને વિલાયતમાં જઈ મરે ત્યાં