પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પોતાને ઘેર જુઓ તો, બસ જાણેકે અઢારમી સદીના ઓઝલ અને પડદા.

વેણીલાલ આમતો મુનશીના સાહિત્યને વખાણનારો; છતાં એને ત્યાં જઈએ, એટલે પહેલાં પ્રથમ અંદરનં બારણાં બરાબર બંધ કર્યા પછી જ અમને બેઠકમાં દાખલ કરે. જીતુભાઈને બાપડાને વરસને વચલે દા’ડે વહુ-બાળકોને લઈને નદી કાંઠે ફરવા જવાની ઈચ્છા થાય, તો વહુ –છોકરાંને મોકલે ઉત્તર તરફથી ને પોતે ચોરીછૂપીથી પૂર્વ દરવાજાનો ચકરાવો ફરીને નદીએ પહોંચે ! મોહનશેઠની સુખાસંપત્તિને શું આગ લગાડવી છે ! સગો દિકરો એકનો એક છતાં ન વહુની જોડે ગાડીમાં બેસીને નીકળી શકે, કે ન નાટક સિનેમા જોવા લઈ જઈ શકે...

"એ તમામના કરતાં આપણે કેવાં સુખી છીએ , રમા !”

જયમનભાઈની રમા સાથેની એકએક ગોષ્ઠીનું તારતમ્ય આ હતું; પ્રણયના પ્રત્યેક ગાનનું ધ્રુવપદ આ એકજ હતું : " એ સહુના કરતાં આપણે કેટલાં સુખી છીએ- હેં રમા !”

આ વાક્યનો ગર્ભિત અર્થ પણ એટલો જ હતો કે ‘એ બધા પુરુષો પોતાની સ્ત્રીઓને અધમ રીતે રાખે છે, જ્યારે મારો વર્તાવ કેવો છે ! તું કેટલી નશીબદાર !”

રમા પતિના દરેક વાર્તાલાપનો આવો મર્મ પકડતાં શીખી ગઈ હતી, અને અહોરાત એ પોતાનું આ ઉગ્રભાગીપણું અંતરમાં ઠસાવવા કોશિશ કરતી હતી. પોતે આવા વરને પૂર્ણ હ્રદયથી કેમ ચાહી શકતી નથી તેવાતનું વલોણું એનાં મનમાં નિરંતર ઘૂમ્યા જ કરતું હતું. પરંતુ, કોણ જાણે શાથી, ‘રમા , આંહી આવ !’ એ પતિ-વાક્ય કાને પડતાંની વાર જ રમાને એવો કંટાળો આવતો કે કેમ જાણે જયમનના ઉઘાડા દેહની નજીક જતાં એને કોઈ રોગિષ્ઠ પરસેવાની દુર્ગંધ ન આવતી હોય ! કોઈ ગોબરા માણસની સાથે એક થાળીમાં જમવા બેસતાં જેવી સૂગ ચડે, તેવી સૂગ આ સ્ત્રીને વર સાથે સહજીવન જીવવામાં ચડતી હતી.દરેક વાતમાં એને વરની નબળી બાજુ જ યાદ આવી જતી. ભાવનગરથી આવેલ ફોટોગ્રાફ ઉપર એને કંટાળો છૂટેલો; કેમકે ફોટો પડાવતાં પહેલાં પાંચજ મિનિટ ઉપર કંઈક કારણસર