પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"ને એણે.."વીરમતી જરાક થોથવાઇ ગઇઃ "એ પૂર્વ-જીવનને પોતાનાં આંસુઓ વડે ધોયું છે."

"ઓ..હો ! હો !" મેં ગમ્મત કરીઃ"તું તો ગ્રામ-સેવાનું શિક્ષણ લેતી લેતી કવિતા પણ કરવા મંડી ને શું!"

હું યાદ કરતો હતોઃ મારા કયા પુસ્તકનું એ વાક્ય વીરમતી એ ચોર્યું હતું?

"મૂરખી રે મૂરખી!" મેં એને થાબડીઃ "ઉતાવળી બની ગઇ! મને વિશ્વાસમાં તો લેવો'તો! ને હજુય શું બગડી ગયું છે? તારા મનમાં જો એ દ્રઢ સંકલ્પ હોય તો એમ વેતરણ ઉતારી આપું. જા, પ્રભાત થવા દે. અને હા, પ્રદ્યોત ક્યાં ગયો હોવો જોઇએ!"

વીરમતીએ પ્રદ્યોતને સંઘરનાર એક સ્થાનનું સરનામું મને આપ્યું.

એ ગઇ. મેં તરત જ 'અર્જન્ટ' તાર મૂક્યોઃ "પ્રદ્યોતચંદ્ર,તમારે ફરીથી અહીં આવવાનું નથી."

વળતે દિવસે પ્રાર્થના સભા પૂરી થઇ કે તરત જ મેં અમારાં પચાસેય ગ્રામ-સેવાભ્યાસીઓની મેદની વચ્ચે ગંભીર સ્વરે વાત કરીઃ

"તમને સર્વને ગ્રામ-સેવાના હિતને કારણે એક કલંક-કથા વિદિત કરવાની છે. બહુ વ્યથિત હૃદયે એ કહીશ."

સહુ સંકોડાઇ ગયાઃ કોના પર વીજળી ત્રાટકવાની હશે? પચાસેય ચહેરા ઉપરથી લોહી ઊડી ગયું. એ લોહી નિહાળીને મેં સંતોષ લીધો.

મેં 'એક ભાઇ અને એક બહેન'ની કલંક-કથા શરૂ કરી ત્યારે સોય પડે તોય સંભળાય એવી સ્તબ્ધતા પથરાઇ ગઇ. કથાને પૂરી કરતાં સુધી મેં નામો દબાવી રાખ્યાં. નામો જાહેર કર્યાં ત્યારે એ બે જણાંને ફાંસી દેવાઇ ગઇ.

મને સંતોષ થયો. હું વેદનામુર્તિ બનીને સહુની વચ્ચેથી નીકળી ગયો ત્યારે જાણે ત્યાં જીવતા જીવો નહિ પણ પાળિયા ઊભા હતા.

પાછળથી કોઇએ આવીને મને કહ્યું: "વીરમતીને મૂર્છા આવી ગઇ છે."