પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એકલવીર આહિર જાદવ ડાંગર જેવા જણ પોતાના જમણા હાથ હતા, એ વાત ઠાકોર આતોભાઈ વીસર્યા નહોતા.

"કાં, કેમ છે, બેટા?" એમ કહીને ઠાકોર આતોભાઈ જેવા એ આજાર માણસની પથારી પાસે ઊભા તેવો જ એ મરતો જુવાન સૂતો હતો ત્યાંથી બેઠો થઈ ગયો, ને ઠાકોરના હાથ ઝાલીને બોલ્યો: "બાપુ, તમે થોડી વાર આંહીં મારી કને બેસશો? મારે એક છેલ્લુકની વાત કે'વી છે."

ઠાકોર એ જુવાનના તાવે શેકાઈ રહેલ બિછાના ઉપર સમતા રાખીને બેઠા. માંદા જુવાનનો ધનુરવા કોણ જાણે શાથી પણ અટકી ગયો. શુદ્ધબુદ્ધ ઠેકાણે રાખીને જુવાને વાત આરંભી:

બાપુ, તમને ખબર હશે કે આ ભાવનગરનાં તોરણ બાંધનાર તમારા દાદા ભાવસંગજીને રાજુલેથી ભાગવું પડ્યું હતું.

"સાચું." ઠાકોર આતાભાઈએ મોં મરકાવીને કબૂલ કર્યું. જુવાને વાત ચલાવી;

પેશ્વાની ચોથ ઉઘરાવવા માટે કંથ-પીલા ગાયકવાડ વડોદરેથી ઊતરેલા. એમની ફોજનો પડાવ રાજુલાના ડુંગરમાં પડ્યો હતો. ઠાકોર ભાવસંગજીને શિહોરથી તેડાવીને કંથા-પીલાએ નજરકેદ રાખ્યા હતા. પેશ્વાની ચડત ચોથ ભરવાનાં નાણાં તમારા દાદાના ખજાનામાં નહોતાં રહ્યાં, ને નાણાં ન ભરે ત્યાં સુધી કંથા-પીલા એને અટકાયતમાંથી છોડનાર ન હતા.

"સાચું." ઠાકોર આતાભાઈએ પોતાના મોં પર જ આ શરમકથા કહેનારો માનવી પહેલો પ્રથમ દીઠો.

આખરે તમારા દાદાને તરકીબ કરવી પડી: વિજયાદશમી આવી, અને ઠાકોર ભાવસંગએએ ગાયકવાડ પાસે અરજ ગુજારી કે "બીજું કાંઈ નહિ, પણ આજ આમારો રજપૂતોનો મોટો તહેવાર છે, આજ અમારે ગામ સીમાડે શમીવૃક્ષનું પૂજન કરવું જોવે; ન કરીએ તો અમારાં પરિયાં પાણી ન પીએ, અમારી સાત પેઢી અસદગતિમાં પડે. માટે, મહારાજ ગાયકવાડ, બે હાથજોડીને વીનવું છું કે કૃપા કરી તમારી ફોજના ચોકી પહેરા હેઠળ