પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દેવબા૦— અમસ્તા મિથ્યાભિમાન કરે છે. મનમાની દક્ષણા મળે તો નવાબ સાહેબની આગળ પણ વેદ ભણે, અને હાઉક સાહેબની સોમયાગ[૧] કરાવે એવા છે.

સોમના૦— બાપા, આ મંત્રનો શો અર્થ હશે?

રઘના૦—જા જા રાંડના, વળી વેદના અર્થ તે થાય કે? વેદનો અર્થ પરમેશ્વર જાણે, કે બ્રહ્મા જાણતા હતા, બીજું કોઈ જગતમાં જાણતું જ નથી.

બોલ — सन्ध्या सढं हाहनाहनम्

સોમના૦सध्या ઉંઉંઉંઉં. બાપા, આ તો બહુ કઠણ છે. માટે આ પડતું મૂકીને શાસ્ત્રી પાસે સંસ્કૃત વ્યાકરણ ભણવા જાઉં?

રઘના૦— સંસ્કૃત વ્યાકરણ ભણીને આપણે શું કરવું છે ?

સોમના૦—પુરાણ શસ્ત્ર ભણીને કથા વાંચવા શીખીશ.

રઘના૦— શાસ્ત્રીઓને અને પુરાણીઓને ખરા બ્રાહ્મણોની હારમાં કોણ ગણે છે ? એ તો શૂદ્ર જેવા કહેવાય.

સોમના૦— શાસ્ત્રી પુરાણી શૂદ્ર જેવા ગણાય?

રઘના૦— હા. વ્યાકરણશાસ્ત્ર ને પુરાણ તો વેરાગીએ ભણે; પણ અન્ય વરણથી વેદ ભણાશે? બ્રાહ્મણને તો વેદનો જ અધિકાર છે. પેશ્વાની સભામાં દક્ષણા વહેંચાતી તે વેદિયાને ઉત્તમ, શાસ્ત્રીને મધ્યમ અને પુરાણીને કનિષ્ટ દક્ષણા અપાતી.

સોમના— ત્યારે પુરાણની કથા આપણે સાંભળવી કે નહિ ?

રઘના૦— અમારા ઘરડા હતા, તે પુરાણની કહાણીઓ વંચાતી હોય, ત્યાં થઇને જવું પડે, તો કાનમાં આંગળીઓ ઘાલીને ચાલ્યા જતા હતા, પુરાણના ગપ્પાંનો શબ્દ કાનમાં પડે તો બ્રાહ્મણનો કાન અપવિત્ર થાય. એ તો શૂદ્રોએ વાંચવા ને સાંભળવા જોઇએ. સુતપુરાણી પણ શૂદ્ર હતો.

હં બોલ —सन्ध्या सढं हाहनाहनम्

સોમના૦सन्ध्या ઉંઉંઉં.

રઘના૦— (સોમનાથને મારવા માંડે છે, સોમનાથ રોવા માંડે છે.)

દેવબા૦— (હાથનું લટકું કરીને) મારા છોકરાને મારશો નહિ. ભણતાં નહિ આવડે તો ચાલ્યું. બ્રાહ્મણનો દીકરો છે તે ભીખ માંગી ખાશે. ભૂખે તો નહિ મરે ?

રઘના૦— હું જાણું છું કે તું છોકરાને ભીખ માગતો કરવાની છે.

દેવબા૦— ત્યારે તમે ભણી ભણીને ક્યાંના કારભાર કર્યા ? સો સો જણાની આગળ કાલાવાલા કરીને દાન દક્ષણા માગી લાવો છો, તો પણ કાંઈ ઉંચું તો આવ્યું નહિ. પેલો શાસ્ત્રીનો છોકરો ને પુરાણીનો છોકરો અંગ્રેજી ભણીને સરકારની નોકરી કરે છે, તે મહીને મહીને પચાશ રોપૈયાનો પગાર લાવે છે. મારે તો છોકરાને તમારૂં ભણતર ભણાવવું નથી, કાલથી ઇસ્કોલમાં મૂકવો છે.

  1. પુનામા દક્ષણીઓએ કરાવ્યો હતો.