પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૮
મોત્સાર્ટ અને બીથોવન
 

એની સમૃદ્ધિ વધતી ગઈ અને પછી તો એણે સફળતાપૂર્વક સ્વતંત્ર વ્યવસાય કર્યો.

બીથોવનનું વ્યક્તિત્વ

બાવીસત્રેવીસ વરસની ઉંમરે બીથોવનનું મજબૂત જિસમ પ્રચંડ તાકાત ધરાવતું થયું. એની મહત્ત્વાકાંક્ષા તો દાબ્યે દબાવી શકાય નહિ એટલી ઉછાળા મારતી અને એનો આત્મવિશ્વાસ પણ એટલો જ છલકાતો. એનું મનોબળ પણ મક્કમ અને અડગ બન્યું. પણ આ બધાં કારણે તે માત્ર અક્કડ અને જિદ્દી જ નહિ પણ અહંકારી અને તુંડમિજાજી પણ બન્યો. વિયેના આવીને તરત જ વૃદ્ધ હાયડન પાસે સંગીતના પાઠ ગ્રહણ કરવા તો માંડ્યા પણ આથમતા તારા અને ઊગતા તારા વચ્ચે મેળ જામ્યો જ નહિ ! સંગીતના ટેક્નિકલ શિક્ષણની પોતાને જરૂર છે એની પ્રતીતિ તો બીથોવનને પહેલેથી જ થયેલી અને તેથી તો એણે હાયડનનું શિષ્યત્વ સ્વીકારેલું. છતાં કંપોઝર તરીકેની પોતાની શક્તિથી એ એટલો બધો વાકેફ થઈ ગયો કે ગુરુએ આપેલી કોન્ટ્રાપુન્ટલ એક્સર્સાઇઝ (કાઉન્ટરપૉઇન્ટની કસરત) એ કરવા ખાતર માત્ર કમને કરતો અને ગુરુના ઘોંચપરોણાને એ ધૂત્કારી કાઢતો. વળી, હાયડન આ સમયે એટલો બધો વ્યસ્ત હતો કે શિક્ષણની ઔપચારિક સીમારેખા ઓળંગી બીથોવનના વ્યક્તિત્વમાં એ વ્યક્તિગત રસ લઈ શકે એમ નહોતો. પછીનાં વર્ષોમાં બીથોવને કબૂલેલું કે હાયડન પાસેથી પોતે સંગીતના પાઠ ભલે ગ્રહણ કર્યા, પણ એની પાસેથી પોતે કશું જ શીખવા પામેલો નહિ. હાયડનને પડતો મૂકીને બીથોવને બીજો ગુરુ કર્યો : ઍલ્બ્રૅક્ટ્સ્બર્ગર. પણ આ પ્રયોગમાં પણ કોઈ જ ભલીવાર વળ્યો નહિ. પછી ઑપેરા કંપોઝર સાલિયેરીને ગુરુ બનાવ્યો. એની પાસેથી બીથોવને માનવકંઠ માટેની કૃતિઓ લખવાના પાઠ ગ્રહણ કર્યા. બીથોવનના બાળપણના ગુરુ રીઝે ઘણા વખત પછીથી લખેલું :