ફ્લોરિન્સ અને કિન્સ્કીનો ફાળો 1,800 ફ્લોરિન્સ હતો. 1809ના ફેબ્રુઆરીની છવ્વીસમીએ બંને પાર્ટીઓએ આ દરખાસ્ત પર મંજૂરીની મહોર મારી. પણ એની વાટાઘાટો દરમિયાન બીથોવને રાજા જેરોમની દરખાસ્ત સ્વીકારી લેવા માટે ખૂબ જ આતુરતા બતાવેલી. છેલ્લી ઘડીએ કૉન્ટ્રેક્ટમાં એવી કલમ ઉમેરવામાં આવી કે ત્રાહિત પાર્ટી તરફથી મળેલી કોઈ પણ લાંબા ગાળાની દરખાસ્ત જો બીથોવન સ્વીકારશે તો આ કૉન્ટ્રેક્ટનો આપોઆપ અંત આવશે.
બીથોવનનો તુંડમિજાજ અને બહેરાશને ધ્યાનમાં લેતાં એવું લાગે છે કે ઑપેરાના ઑર્કેસ્ટ્રા અને કોયરને કન્ડક્ટ કરવાની જવાબદારી બીથોવન ઉઠાવી શકે એમ હતો જ નહિ. બીથોવનની નિમણૂક કરીને રાજા જેરોમ સૌથી મહાન વિદ્યમાન સંગીતકારની હાજરી વડે પોતાના દરબારની શોભાની અભિવૃદ્ધિ કરવા માંગતો હતો. બીથોવને ત્યાં ક્વચિત્ પિયાનોવાદન કરવા સિવાય કોઈ જવાબદારી નિભાવવાની હતી નહિ.
આખરે બીથોવનના એક શિષ્યને રાજા જેરોમે એ જ દરખાસ્ત થોડા ઓછા પગારે આપી. દરખાસ્ત સ્વીકારતાં પહેલાં એ બિચારો શિષ્ય તો ગુરુ પાસે પૂછીને ખાતરી કરવા આવ્યો કે એ દરખાસ્તને ગુરુએ ખરેખર ઠુકરાવી છે કે નહિ. સાથે સાથે એણે ગુરુની સલાહ પણ માંગી. ક્યાંય સુધી ચુપકીદી સેવ્યા પછી ઉપેક્ષાવૃત્તિ અને અહંકારભર્યા સ્વરમાં બીથોવન તાડૂક્યો : “ઓહ ! શું તને એમ લાગે છે કે મને મળવાપાત્ર પદ પર તું બિરાજવા માટે કાબેલ છે?” પોતાના પ્રશ્નનો જવાબ નહિ મળતાં શિષ્યે આખી પરિસ્થિતિ સમજાવી ત્યારે બીથોવન બોલ્યો, “મને તો એમ કે તું મારી પૂંઠ પાછળ આ પદ હાંસલ કરવા માંગે છે !” શિષ્ય જવાબ આપ્યો, “તમારી સંમતિ વગર હું આ પદ ગ્રહણ કરી શકું નહિ.” આખરે શિષ્યને આ પદ મળે તે માટે બીથોવને તજવીજ કરવા માંડી. પણ ત્યાં સુધીમાં તો