પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૨
મોત્સાર્ટ અને બીથોવન
 


એ દિવસોમાં સંગીત માટે સમયમાપક યંત્ર મેટ્રોનોમેનો શોધક માઇલ્ઝેલ જાણીતો થયેલો. એ યંત્રવિદ્યામાં નિપુણ હતો. તાજેતરમાં એણે ‘પેનહાર્મોનિયમ' શોધેલું. એ યંત્રમાં ચક્કર ચક્કર ફરતા ચામડામાંથી બનેલા નળાકાર ઢોલ ઉપર યાંત્રિક રીતે ફટકારતી લાકડીઓથી સંગીત નીપજતું. સંગીતની વિશેષ સૂઝ નહિ ધરાવતી સીધીસાદી જનતાને આ વાજિંત્ર ખૂબ પસંદ પડેલું ! એની ઉપર ઘણીબધી લોકપ્રિય કૃતિઓ વગાડવામાં આવતી. માઇલ્ઝેલને વિચાર આવ્યો કે જમાનાનો સૌથી મહાન સંગીતકાર શા માટે આ યંત્ર માટે કોઈ કૃતિ રચી આપે નહિ ? એણે બીથોવનને વિનંતી કરી અને બીથોવને એવી કૃતિ લખી પણ આપી.

1813માં એવામાં જ બ્રિટનનો વેલિન્ગ્ટન વિત્તોરિયાનું યુદ્ધ જીતેલો એટલે બ્રિટનમાં પનાહ મેળવવા માટે આતુર બીથોવને લખેલી કૃતિનું નામ રાખ્યું : ‘વેલિન્ગ્ટન્સ વિક્ટરી’, જે પછીથી ‘ધ બૅટલ ઑફ વિત્તોરિયા’ નામથી જાણીતી બની. બ્રિટિશ નાગરિકોને ખુશ કરવા માટે બીથોવને એમાં બ્રિટિશ રાષ્ટ્રગીતો ‘ગૉડ સેવ ધ કિંગ’ તથા ‘રૂલ બ્રિટાનિયા’ને સમાવી લીધાં ! માઇલ્ઝેલને પણ આ કૃતિ ગમી ગઈ કારણ કે એમાંથી બ્રિટનમાં ધંધાદારી સફળતા મળી ! વિયેનામાં પણ આ કૃતિ લોકપ્રિય બની. પણ પછીના મહિનાઓમાં બીથોવન અને માઇલ્ઝેલ બાખડી પડ્યા. એનું કારણ તો જાણવા મળતું નથી પણ માઇલ્ઝેલ પર બીથોવને કોર્ટમાં છેતરપિંડીનો કેસ ઠોકી દીધો. થોડાં વરસો પછી બંને ઠંડા પડ્યા અને કેસ દાખલ કરવાને લીધે બીથોવનને જે કાંઈ ખર્ચો થયેલો એનો અડધો ભાગ માઇલ્ઝલે એને ચૂકવી આપ્યો; અને એ મામલા ઉપર કાયમ માટે પૂર્ણવિરામ મૂકી દીધું. માઇલ્ઝેલ સાથે લંડન જવાનો બીથોવન માટે હવે પ્રશ્ન જ રહેલો નહિ.