પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬
મોત્સાર્ટ અને બીથોવન
 


નથી, કોઈ છોકરી સાથે લફરું તો કર્યું જ નથી.

આખરે 1781ના ડિસેમ્બરમાં મોત્સાર્ટે પિતાને કાગળ લખીને પેટછૂટી વાત કરી જ દીધી :

હું પ્રેમમાં પડ્યો છું અને પરણવા માંગું છું. લગ્ન વિના આદમીનું જીવન અધૂરું જ છે. હું બહુ પહેલાં આ અંગે મારું હૃદય તમારી આગળ ખોલી શક્યો હોત પણ કસમયે હું ઉતાવળો થાઉં છું એમ કહી તમે મને દબડાવશો એ ડરથી તમને આ વાત કરી શક્યો નહિ. જોકે અત્યારે તો હું કસમયે ઉતાવળો નથી જ થયો. અત્યારે હું એક નિયમિત અને સ્થિર આવક મેળવવા મથી રહ્યો છું. જેના વડે ઘણી સારી રીતે શાંતિપૂર્વક જીવનનિર્વાહ ચલાવી શકાય; અને પછી પરણી શકાય ! તમે ગુસ્સે નથી થયા ને, પપ્પા ? પણ આગળ વાંચો. દરેક માણસમાં કુદરત તો તેનું કામ કરે જ છે. મારામાં પણ તે તેનું કામ કરે છે, કદાચ વધુ જોરદાર રીતે. મોટા ભાગના જુવાનો આજે જીવે છે તેવી રીતે જીવવું મારે માટે અશક્ય છે. એક તો હું ખૂબ જ ધાર્મિક છું અને બીજું કે કોઈ નિર્દોષ છોકરીને તરછોડવી મારે માટે શક્ય નથી, કારણ કે હું સહાનુકંપા ધરાવું છું. મને એનો એટલો બધો વિચાર છે કે હું તેને રઝળતી મૂકી શકું નહિ. રંડીઓની સોબતે તો હું કદી ચડ્યો જ નથી કારણ કે તેમને જોતાં જ મને ત્રાસ, અરેરાટી અને ભયની લાગણી થાય છે, તથા મારી તબિયતને ધ્યાનમાં લઈને રોગના વિચારથી ગભરાટ થાય છે. હું સાચું કહું છું કે હું તેમની સંગતમાં કદી ગયો જ નથી. હું જાણું છું કે આ કારણ ઘણું મજબૂત હોવા છતાં પૂરતું નથી. શાંતિપૂર્વક ગૃહસ્થ જીવન જીવવા ટેવાયેલા મારા સ્વભાવ માટે લગ્નની જરૂર છે જ. ધમાલિયું જીવન મને પસંદ નથી. બાળપણથી જ મને મારી વસ્તુઓ, કપડાં ઠેકાણે રાખવાની આદત નથી. તેથી મારે એક પત્નીની જરૂર છે. હું તમને ખાતરી આપું છું કે હું અત્યારે જેટલો ખર્ચ કરું છું તેનાથી ઓછા ખર્ચમાં અમારા