પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪
મોત્સાર્ટ અને બીથોવન
 


લિયોપોલ્ડની મુલાકાત હાયડન સાથે પણ થઈ. હાયડને તેને કહેલું : “ઈશ્વરની સાક્ષીએ હું કહું છું કે હું જાણું છું એ બધા જ સંગીતકારોમાં મોત્સાર્ટ શ્રેષ્ઠ અને સૌથી મહાન છે.” પોતાની મહેનત અને પુત્રની પ્રતિભાની કદર થતી જોઈને લિયોપોલ્ડને શાંતિ થઈ હશે. જોસેફ હાયડન અને ડિટસ્ર્ડૉર્ફ મોત્સાર્ટના વાદ્યસંગીતના જલસામાં ઘણી વાર વાયોલિન વગાડતા. મોત્સાર્ટે વિયેનામાં શિષ્યો મેળવ્યા: કાઉન્ટેસ રુમ્બેકી, એક ધનાઢ્ય પ્રકાશકની પત્ની ફ્રૉઉ ફૉન ટ્રૅટનર, ઝીલ્યી, કાઉન્ટેસ પૅલ્ફી અને બેબીટે પ્લોયર. મોત્સાર્ટને પોતાની સાસુ સાથે ઘણું ફાવતું. એ બે વચ્ચે સારી દોસ્તી થઈ ગયેલી. જ્યારે પણ મોત્સાર્ટ સાસરે જતો ત્યારે તે ચૉકલેટ કે કેક જેવી નાની ભેટ સાસુ માટે લઈ જતો. મોત્સાર્ટ અને કૉન્સ્ટાન્ઝે બંને પરોઢે સાડા પાંચે ઊઠી જતાં અને રાતે બાર વાગ્યા પછી જ પથારી ભેગા થતાં. જીવનના અંતિમ દાયકાની અત્યંત કામગરી જિંદગી વિશે મોત્સાર્ટે એક મિત્રને લખેલું : “મને શ્વાસ લેવાની પણ ફુરસદ નથી.”

ઈર્ષ્યાળુ સાલિયેરી (1750-1825)

‘સેરાલિયો’ને સફળતા મળી હોવા છતાં એ પછી સતત ત્રણ વરસ સુધી મોત્સાર્ટને બીજો ઑપેરા લખવાની વરદી મળી નહિ. એ માટે લુચ્ચા દરબારી સંગીતકાર સાલિયેરીનો દોરીસંચાર કારણભૂત હતો. એ તો ઈશ્વરને ફરિયાદ કરતો : “મારા જેવા વિદ્વાન અને કુળવાનને મૂકીને, હે ઈશ્વર ! તું એક રખડેલ મામૂલી છોકરાને શા માટે તારી દૈવી પ્રતિભાનું દાન કરે છે ?” જર્મન ઑપેરા પર પ્રતિબંધો લાદવા માટે એણે જ સમ્રાટોને ચડાવેલા. એમાં એ સફળ પણ થયો. પછી તો વિયેના પર ઇટાલિયન સંગીતકારો ચડી બેઠા.

વાદ્યસંગીત

ઉજાણીઓમાં સતત રચ્યાપચ્યા રહેતા નગર વિયેનામાં વાદ્યસંગીતના ઘણા જલસા લગાતાર ચાલુ જ રહેતા. મોત્સાર્ટ એમાં