પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦
મોત્સાર્ટ અને બીથોવન
 


મોત્સાર્ટની મહાન પ્રતિભાને અનુરૂપ વિષય પણ મહાન જ જોઈશે અને એમાં પ્રસંગો અને પાત્રોની પણ વિવિધતા જોઈશે એમ હું વિચારતો હતો. થોડા દિવસો પછી અમે ફરી મળ્યા ત્યારે એણે મને પૂછ્યું, “બ્યુમાર્કાઈની કૉમેડી ‘ધ મૅરેજ ઑફ ફિગારો’ પરથી સહેલા સંવાદો લખવા ફાવશે ?” મને આ દરખાસ્ત ખૂબ ગમી ગઈ એટલે મેં એ મુજબ લખી આપવાનું વચન આપ્યું. પણ એટલામાં જ એક મુશ્કેલી ઊભી થઈ. જર્મન થિયેટરમાં બ્યુમાર્કાઈની આ કૉમેડીની ભજવણી ઉપર સમ્રાટે પ્રતિબંધ લાદ્યો, કારણ કે એમને આ કૉમેડી અશ્લીલ જણાઈ તો એના પરથી સર્જાયેલા ઑપેરાને પણ એ મંજૂરી આપે ખરા ? બૅરોન વેલ્ઝરે મને એવી સલાહ આપી કે આ ઑપેરા લંડનમાં ભજવવો. ગુપ્ત રીતે ચુપચાપ ઑપેરા લખ્યા પછી મોકો મળતાં સમ્રાટ સમક્ષ એ પેશ કરવાનું મેં સૂચન કર્યું અને મોત્સાર્ટે એ વધાવી લીધું. અમે બંનેએ ભેગા મળીને છ જ અઠવાડિયામાં એ ઑપેરા લખી નાંખ્યો. એના વિશે અમે કોઈને પણ ગંધ માત્ર આવવા દીધી નહિ. માત્ર એક જ માણસને અમે આ પ્રોજેક્ટ વિશે જણાવેલું. એ હતો ઇટાલીનો પ્રખર મોત્સાર્ટભક્ત પાદરી માર્તિની.
એવામાં જ જર્મન થિયેટરને નવી કૃતિની જરૂર ઊભી થઈ. હું તરત જ સમ્રાટ પાસે પહોંચી ગયો અને ‘ફિગારો’ ભજવવાની દરખાસ્ત મૂકી. સમ્રાટે ચમકી જઈને કહ્યું, “શું !? ખબર નથી કે મોત્સાર્ટ ભલે વાદ્યસંગીતમાં નિષ્ણાત હોય, પણ ઑપેરા તો એણે એક જ લખ્યો છે ? અને એ ઑપેરામાં પણ કંઈ દમ નહોતો !”
મેં જવાબ આપ્યો, “માલિક ! આપની કૃપા વગર તો હું પણ માત્ર એક જ નાટક લખી શક્યો હોત !”
સમ્રાટ બોલ્યા, “એ વાત સાચી, પણ ‘મૅરેજ ઑફ ફિગારો’ પર મેં પ્રતિબંધ મૂક્યો છે.”