પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮
'મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 


અલ હમદાની

અબૂ મુહમ્મદ અલ હસન ઇબ્ને અહમદ ઇબ્ને યાકૂબ અલ હમદાનીનો જન્મ યમનના શહેર સનામાં ઈ.સ. ૮૯૩માં થયો હતો. દક્ષિણ અરબસ્તાનના પ્રસિદ્ધ કબીલા હમદાનમાં જન્મ્યા હોવાથી અલ હમદાની તરીકે ઓળખાયા ભૂગોળ અને પ્રાકૃતિક વિજ્ઞાનમાં રસ ધરાવતા. અલ હમદાનીએ ઈરાક અને મક્કાની મૂલાકાતો લીધી હતી. પોતાના સમકાલીનો સાથે પત્ર વ્યવહાર કર્યો હતો. કુફાના ભાષાશાસ્ત્રી ઇબ્ને અલ અમ્બારી અને ગુલામ તલબ તથા એમના વિદ્યાર્થી ઇબ્ને ખાલ્વયહ સાથે પત્રવ્યવહાર દ્વારા તકનીકી ચર્ચા વિચારણાઓ કરતા હતા. છેલ્લા સમયમાં રાયદા અને સદા શહેરોમાં રહ્યા. રાજનીતિમાં ભાગ લેવા બદલ જેલમાં પણ જવું પડ્યું હતું.

ઉત્તર અને દક્ષિણ અરબસ્તાનના કબીલાઓ વચ્ચે લડાઈઓ ચાલતી હતી ત્યારે અલ હમદાની પોતાના કબીલા અને સંબંધીઓની પડખે રહ્યા હતા. આ વિશેનું વર્ણન પોતાના કાવ્ય અલ-દામિઘા માં કર્યું હતું.

એમણે ઇતિહાસ સંબંધી ગ્રંથ અલ-ઈકિલ (તાજ) ની ઈ.સ. ૯૪૩માં રચના કરી હતી. ભૂગોળ વિશેનો ગ્રંથ ‘સિફત-જગીરા અલ અરબ’ દસ ભાગમાં લખ્યું હતું, જેમાંથી હાલમાં માત્ર ચાર ભાગ જ સચવાયેલા છે. આમાં ભૂગોળની માહિતી ઉપરાંત ફળો, વનસ્પતિ, કિમતી પથ્થરો અને ધાતુઓના અવલોકનો પણ છે. આ ગ્રંથને લીધે એમની નામના પ્રસિદ્ધ ભુગોળશાસ્ત્રીઓમાં થઈ.