પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 


અલ ફઝરી

અબૂ ઇશ્હાક ઇબ્રાહીમ બિન હબીબ બિન સુલેમાન ઇબ્ને સમૂરા ઇબ્ને જુન્દબ અલ ફઝરી (મૃ. ઈ.સ. ૭૭૭) આઠમી સદીના ઈરાની ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી હતા.

હારૂન અલ રશીદના દરબારમાં ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી તરીકે સેવાઓ આપી.

એમણે ખગોળશાસ્ત્રમાં 'અસ્તૂરલાબ' નામક પ્રબંધ ગ્રંથની રચના કરી. આ ઉપરાંત On the armillary sphere તથા 'પંચાગ' વિશે પણ પ્રબંધ લખ્યા.

ઇબ્રાહીમ બિન અલ ફઝરીનો પુત્ર મુહમ્મદ ઇબ્ને ઇબ્રાહીમ અલ ફઝરી (મૃ. ઈ.સ. ૭૯૬ અથવા ૮૦૬) પણ ખગોળશાસ્ત્રી હતો. ખલીફા મન્સૂરે બંને પિતા પુત્રને ભારતીય ખગોળશાસ્ત્રીય ગ્રંથ-બ્રહ્મગુપ્તના સંસ્કૃત ગ્રંથ 'બ્રહ્મસ્ફૂટ સિદ્ધાંત'નું અરબીમાં અનુવાદ કરાવ્યું. યાકૂબ ઇબ્ને તારીકે પણ આ અનુવાદમાં સહાયતા કરી હતી. લગભગ ઈ.સ. ૭૫૦માં આ કાર્ય પૂર્ણ થયું. આ ગ્રંથ 'અલ ઝિજ અલા સિની અલ અરબ' અથવા ટૂંકમાં 'સિંદહિંદ' તરીકે ઓળખાયું. આ ગ્રંથ દ્વારા ભારતીય આંકડાઓ અરબીમાં પ્રવેશ્યા હોવાનું માનવામાં આવે છે.