પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
૧૧૫
 



અલ બત્તાની, અબૂ અબ્દુલ્લાહ મુહમ્મદ ઇબ્ને
જાબીર ઇબ્ને સીનાન અલ રકકી અલ હર્રની અલ સાબી
(ઈ.સ. ૮૫૮ – ૯ર૯)

અલ બત્તાનીનો જન્મ હિ.સ. ૨૪૪ / ઈ.સ. ૮૫૮માં હર્રાનમાં અને એક બીજી માહિતી મુજબ હર્રાનના રાજ્ય બત્તાનમાં થયું હતું. અલ બત્તાની પશ્ચિમી જગતમાં Albategnius અથવા Albatenius તરીકે ઓળખાય છે. પોતાના સમયના સૌથી મહાન અને મધ્યયુગના મહાન ખગોળશાસ્ત્રોમાંથી એક ગણાય છે. અલ બત્તાનીને સૌ પ્રથમ એમના પિતા જાબીર ઇબ્ને સીનાને શિક્ષણ આપ્યું, જેઓ પોતે પણ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક હતા. અલ બત્તાની ઉત્તર સીરીયામાં યુક્રેટીસ નદી કિનારે વસેલા રક્કા શહેરમાં વસ્યા અને વિજ્ઞાનનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. નવમી સદીના અંતભાગમાં તેઓ સમારા (ઈરાક) ગયા અને મૃત્યુપર્યત ત્યાં જ રહી કાર્ય કર્યું.

અલ બત્તાનીએ ઈ.સ. ૮૭૭ થી રક્કા શહેરમાં ખગોળશાસ્ત્રમાં ઘણા સંશોધનો કર્યા. પ્રોફેસર ફિલીપ હિત્તીના મત મુજબ "અલ બત્તાનીએ ટૉલેમીના ઘણા કાર્યોમાં સુધારા વધારા કર્યા અને ચંદ્ર તથા બીજા ગ્રહોની ભ્રમણકક્ષાની ગણતરીઓમાં પણ સુધારા કર્યા. એમણે વાર્ષિક સૂર્યગ્રહણની શક્યતાની સાબિતીઓ આપી, ઋતુઓના ફેરફારને ચોકસાઈપૂર્વક માપ્યા અને ગરમ પ્રદેશમાં ઋતુઓ, વર્ષની લંબાઈ તથા સૂર્યના ખરી અને સરેરાશ કક્ષાની માપણી કરી."

અલ બત્તાનીએ શોધેલા સૂર્ય વર્ષની લંબાઈ ૩૬૫ દિવસ ૫ કલાક, ૪૬ મિનિટ અને ૨૪ સેકન્ડસ આધુનિક અંદાજથી એકદમ નજીક છે. એમણે શોધી કાઢ્યું કે સૂર્યકલાથી પૃથ્વીનું દુરમાં દૂર બિન્દુનું રેખાંશ ટૉલેમીના સમયથી અત્યાર સુધી ૧૬°૪૭' છે. આ બાબત સૂર્યકક્ષાના સૌથી દૂરના બિન્દુની ગતિ અને સમયના સૂત્રમાં નજીવા ફેરફાર તરફ દોરી ગઈ. અલ બત્તાની સંપાત (દિવસ રાત ૨૦ માર્ચ અને ૨૨ સપ્ટેમ્બરે એક સરખા થાય છે તે - ઈકિવનોક્સ) ના સ્પદંનમાં માનતા ન હતા. જ્યારે કે એમની ઘણા સદીઓ પછી થયેલા ખગોળશાસ્ત્રી ર્કાપરનીકસ આ ભૂલભરેલી માન્યતામાં વિશ્વાસ ધરાવતા હતા ! ટૉલેમીથી વિરૂદ્ધ અલબત્તાનીએ સૂર્યના કોણીય વ્યાસની ચલયમાનતા અને વાર્ષિક સૂર્યગ્રહણની શક્યતાને સાબિત કરી. ઈ.સ. ૧૭૪૯માં ડનથોર્ન નામક ખગોળશાસ્ત્રીએ અલબત્તાનીના ચંદ્ર તથા