પૃષ્ઠ:Nandbatrisi.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અગ્નિ બાળે સર્વેને, જીવ બાળ્યો નવ જાય;
મન્મથ જિતે સર્વને, જ્ઞાની નવ જિતાય. ૪૨૬
વહાલાં પાખંડ અજાણને, હરિ જનને વહાલા રામ;
સત્યને વહાલો ધર્મ છે, પાપીને વહાલો કામ. ૪૨૭

ચોપાઈ.

રાય લખી આવ્યો બારણે, પ્રતિત પ્રધાનતણે કારણે;
પ્રધાને લખ્યો એક જ બોલ, ઉતારવા રાજાનો તોલ. ૪૨૮

દોહરા

પ્રધાન- ઉમયા ઇશે નવ જોત્યો, જિત્યો નહી શ્રીરામ;
બ્રહ્માદિકે જિત્યો નહિ, એવો અજિત છે કામ. ૪૨૯
જિત્યો નહિ મહામુનિવરે, નવ જિત્યો રવિ ચંદ્ર;
જિત્યો નહિ વ્યાસ વિચક્ષણે, જિત્યો નહિ સુર ઈંદ્ર. ૪૩૦
જિત્યો નહિ પાંચ પાંડવે, જિત્યો ન રાવણ રાય;
જિત્યો નહિ જોરાવરે, કામ અજિત કહેવાય. ૪૩૧
જિત્યો નહિ કો દેવતા, જિત્યો નહિ કો લોક.
જિત્યો કોઈ કહે કામને, તે તો જાણવો ફોક. ૪૩૨
વેદ પટન કવિ ચાતુરી, સઘળી વાત છે સહેલ;
કામદહન મન વશકરણ, ગગનચઢણ મુશ્કેલ. ૪૩૩
મૂર્ખ જિત્યો કહે કામને, માનો તેનાં પાપ;
સહુને હૃદે વ્યાપી રહ્યો, કામ અજિત છે આપ. ૪૩૪
કોઈ ડાહ્યો થઇ બોલશે, રાખી પોતાનો ભાર;
તેને લેજો ઓળખી, મૂરખનો સરદાર. ૪૩૫
પંચ કણ પ્રાશે અંનના, ચિત્ત ભંગ થાયે નેણ
ઉઠી બેઠું થવાય નહિ, (પણ) કામ ન મેલે ચેન. ૪૩૬
કાં નારી કાં નર પશુ, વૃદ્ધ જોબન ને બાળ;
કાં મૂરખ પંડિત વડા, કામતણે વશ કાળ. ૪૩૭
મર્યાદાથી માન રહે, અણસમર્થ રહે આપ;
એકાંતે આરાધન રહે, વેદ પુરાણે છાપ. ૪૩૮
કાં મન્દોદરી દ્રૌપદી, અહલ્યા સીતા શરીર;
રાખ્યું આપ જ ઈશ્વરે, કામને વશ છે હીર. ૪૩૯