પૃષ્ઠ:Nandbatrisi.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જારબુદ્ધિ કે જોવા કાજ, તે તો જાણે શ્રીમહારાજ;
કુંડળ બે આપ્યાં પ્રતિહાર, મધરાતે આવ્યો તે ઠાર. ૪૯૮
કહ્યો મેં અતિશય પ્રતિબોધ, નવ આણ્યો નંદરાયે ક્રોધ;
પદ્મિનીએ કીધી બહુ પેર, ભલે પધાર્યા મારે ઘેર. ૪૯૯
દેખાડવું પટાંતરે ઘણું, ગળ્યું મન નંદ રાજાતણું;
રાજા સત્યવાદી તે ગળ્યો, પસલી આપી પાછો વળ્યો. ૫૦૦
જારબુદ્ધિ તે જનક જ હોય, તેમાં ખેદ ન કરશો કોય;
ઘેર વજીર આવ્યો જ્યાહરે, સાચાં દૃષ્ટાંત દીધાં ત્યાહરે. ૫૦૧
મેં ત્યારે સમજાવ્યો મર્મ, રાખ્યો ઈશ્વરે તારો ધર્મ;
એ મૂર્ખતણો શો વાંક, દીઠા સાચા અક્ષર આંક. ૫૦૨
મારું કહ્યું તે એ ક્યમ કરે, સહુકોનું તેજ જ જ્યાં હરે;
એને તો મન માન્યું ખરું, જેનું હૈડું કપટે ભર્યું. ૫૦૩
દુર્બળ પરોણો કોણ રાંધે ખીર, કાંબળીએ કો ન ધીરે ચીર;
એ તો સાચું બોલ્યા અમો, મન જાણો તો તે કરજો તમો. ૫૦૪
એવી વાત પોપટ કહી રહ્યો, ફટ પ્રધાનને સહુએ કહ્યો;
બહુ અન્યા તેં કીધો ખરો; માટે સહુ કહે તે ચિત્ત ધરો. ૫૦૫

દોહરા.

કહે વજીર મેં મારિયો, પોપટને બહુ માર;
માટે મુજને મરાવવા, રાખે છે બહુ ખાર. ૫૦૬
આજ હું સંકટમાં પડ્યો, જે કરશો તે સ્હેશ,
વણ વાંકે જો મારશો, પેલે ભવ વેર લેશ. ૫૦૭
ઈશ્વર આગળ અરજ કરું, પ્રણામ કરું બહુ પેર;
પેલે ભવ તારી કને, લેઇશ મારું વેર. ૫૦૮

ચોપાઈ.

કહે કુંવર સાંભળ રે તું, ખરા વિના નહિ મારું હું;
તેડી આણી વજીરની નાર, તેને હત્યા દીધી ચાર. ૫૦૯
સાચું બોલ જે હોય વહેવાર, ઉગરશે તારો ભરથાર;
નહિ તો એને મારું આ દીશ, તે હત્યા બેશે તુજ શીશ. ૫૧૦
ત્યારે તે બોલી છે નાર, સહુકોને કરીને નમસ્કાર;
સતી જૂઠું બોલે જ્યાહરે, બ્રહ્માંડ તૂટી પડે ત્યાહરે. ૫૧૧