પૃષ્ઠ:Nandbatrisi.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સત્ય ધરા ધરે નાગેન્દ્ર, સત્યે તપે દિવાકર ચંદ્ર;
અસત્ય ત્યાં અદકેરું દુઃખ, સત્ય વાતમાં સઘળું સુખ. ૫૮૪
જિતો જગ જેનું સત્ય રહ્યું, સત્ય મૂક્યું તેનું સર્વસ્વ ગયું;
સ્વર્ગે જવાની વાટ જ જેહ, સત્ય નામે ઓળખાએ તેહ. ૫૮૫
બ્રહ્મ પદમાં મોટેરી મત્ય, તેનું તત્વ સાચું તે સત્ય;
સત્ય ઉપર જેની હોડ, તે આગળ ઇશ્વર રહે કર જોડ.૫૮૬
સત્ય સોયે જેનો વહેવાર, તે જાણવો ઈશ્વર અવતાર;
સત્ય ઉપરે નિર્મળ સ્નેહ, તે જાણવો ઇશ્વરનો દેહ. ૫૮૭
આળસ મરડી ઉઠ્યો રાય, પુષ્પવૃષ્ટિ તે સ્થાનકે થાય;
સાબાશ સતી સહુકોએ કહી, જેજેકાર જગતમાં થઇ. ૫૮૮
પાપી પ્રધાનને સહુ કેહ, નથી રાયને કંઈ સંદેહ;
નથી નંદ રાજાને જ્ઞાન, કે શા કારણે બાંધ્યો પ્રધાન. ૫૮૯
શા માટે બાંધ્યો પ્રધાનને, શા માટે મારો એ રાંકને;
કહો મુજને એના વાંકને, ત્યારે ખબર થાએ મને. ૫૯૦
પૂર્વે વૃત્તાંત રાજાને કહ્યું, ત્યારે જ્ઞાન પોતાને થયું;
જોતામાં છે મારો વાંક, શું કરે એ બાપડો રાંક. ૫૯૧
અતિ અઘટિત મેં આચરણ કર્યું, એને તેથી દુઃખસાગર ભર્યું;
સ્ત્રી વેર દવ નવ થાય, કામ અજિત તે નવ જિતાય. ૫૯૨
એ શું જાણે સતિ ને રાય, નિસ્સંશય મન કેમ એનું થાય;
ભલે એણે માર્યો છે મને, ભલો ન્યાય સૂજ્યો તને. ૫૯૩
એમ કરતાં સતિપણું સિદ્ધ થયું, કલંક એ નારીનું ગયું;
હવે એને મારશો મા કોય, હોનાર વસ્તુ તે મિથ્યા નવ હોય. ૫૯૪
છોડ્યો વજીર સરપાવ જ દીધો, જીવ્યાથકી તે વહેલો કીધો;
તે ઉપર નવ રાખી દાઝ, નંદ પુત્ર બેસાડ્યો રાજ. ૫૯૫
ભલી ભાત રાખી માનિની, કંથને તે સોંપી કામિની;
જોડ્યા તેહ વજીરે હાથ, સ્તુતિ કરી રાજાની સાથ. ૫૯૬
હું છઊં અપરાધી તારો, હવે સંદેહ ભાંગ્યો માહરો;
મોતી પુષ્પે વધાવી નાર, ગયા સહુ પોતાને ઠાર. ૫૯૭
નિશ્ચે નિષ્કલંક નારી દેહ, સત્યવાદી નંદરાયનો સ્નેહ;
માનતા નારીની ચાલી ઘણી, સાચી શક્તિ તે દેવ તણી. ૫૯૮