પૃષ્ઠ:Nandbatrisi.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પવિત્ર તે પાળે આચાર, હરિજન જે મૂકે સંસાર;
રાજા જેહ પ્રજાપ્રતિપાળ, સત્યવાદી નવ બોલે આળ. ૭૫
પંડિત જે પરખે પુરાણ, સાત્વિક જે હોએ સુજાણ;
જોગી તે જે પાળે જોગ, સંસારી જે સમજે ભોગ. ૭૬
વાર્તિક તે જે વ્રત આચરે, દુ:ખભંજન તે સૌ દુ:ખ હરે;
પુત્ર તે જે ગયાએ જાય, જિત્યો તે જે ગંગા નહાય. ૭૭
ધનપતિ તે જે ધારે ધરમ, સંન્યાસી જે જાણે બ્રહ્મ;
રળ્યો તે જે ખરચે હાથ, સારી સ્ત્રી તે જે સ્વર્ગે સાથ. ૭૮
જ્ઞાની તે જે જ્ઞાને સજે, ભક્ત હોય તે ભગવાનને ભજે;
વૈભવ તે જે વિભૂતિ ધરે, આશાત્યાગી તે આશ ન કરે. ૭૯
મહિપતિનું જે રાખે માન, તેનું નામ પૂરો પરધાન;
મારો વજીર ખાસો છે તું, જા આ વેળા કહું છું હું. ૮૦
કહે પ્રધાન સુણો પુરપતિ, રોષ મા ધરશો રાજા રતિ;
જે પાસો પડે તે દાય, જે રાજા બોલે તે ન્યાય. ૮૧
જે નિર્ધન બોલે તે નોય, બોલ પાળે તે શાહ જ હોય;
પંચ પ્રમાણ કરે તે ન્યાય, જે મારે મરે તે ધાય. ૮૨
નાઠો રાહ જડે ત્યાં જાય, આચાર ભ્રષ્ટ તે તો અન્યાય;
ભૂખ્યો તે જે ગમે તે ખાય, વંઠ્યો તે જે ગમે તે ગાય. ૮૩
અણચાલે થયું તે થાય, બહેક્યો મન ગમે ત્યાં જાય;
ધનવતી ચિતવે તે થાય, અતિ બળિયો જે વજ્જરકાય. ૮૪
આંધળો જાર જે ઘરમાં રમે, બેહ્યા નાર ગમે તે કરે;
આંચળ મુખ આપે તે ગાય, ઓસડ તે જે રોગ મૂકાય. ૮૫
જે પ્રુથ્વી પાળે તે રાય, પયપાન કરાવે તે સત માય;
કાયા ચિત્ત વશ કરે તે મુન્ય, અતિ બળિયો જેનું બહુ પુન્ય. ૮૬
દુખીઓ જેહ વિદેશે જાય, ગૃહસ્થ તે જે લ્હાણું લાય;
પૂજ્ય તે જે પરમારથિ થાય, સુખિયો જે નીરોગી કાય. ૮૭
ભલું કરે તે ભૂપત રાય, વાંક વિના કોપે અન્યાય;
ચાતુર તે જે કીર્તિ ચાહે, વિવેકી જે વિચારે મનમાંહે. ૮૮
રાજા કહે તે સારો દીસ, ચાકર બોલ ચડાવે શીશ;
એમ કહી ઉથ્યો તે ઘડી, સેના સુંઢાડી પોતાતણી. ૮૯