પૃષ્ઠ:Nari Pratishtha.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
સુદર્શન ગદ્યગુચ્છ - ૨
 

સર્વથા જાણીતું જ છે. ભય કરનાર વસ્તુના અભાવના પ્રસંગમાં તે સ્વચ્છંદે વર્તે એટલું જ નહિ પણ તે વસ્તુ દૂર કરવાના જે સારા નરસા ઉપાય હોય તે પણ અંદરખાનેથી યોજવાના ચૂકે નહિ જ. સત્પુરુષોનાં જીવનચરિત્ર વાંચવાથી – જો તે યોગ્ય રીતે લખાયાં હોય તો – વાંચનારના અંતઃકરણ ઉપર તાદૃશ છાપ પડી રહે છે ખરી, અને તેથી કરીને તેને સન્માર્ગે ગૃહણ કરવાની પ્રબળ ઇચ્છા થઈ આવે છે ખરી. અર્થાત્ સન્માર્ગ યાને નીતિ, અને સુખ એ બે વચ્ચેના કાર્યકારણભાવનું મહાન સ્વરૂપ જેમ મનમાં દૃઢ થતું જાય તેમ તેમ એવી પણ અવસ્થા આવી જાય છે કે કાર્ય–સુખ–નો વિચાર આદર્યા વિના સ્વતઃ નીતિનો જ ભાવ સ્વભાવસિદ્ધ બની રહે છે; ને તે સ્વભાવના આનંદમાં જ સુખનો સમાવેશ અને તે સુખની પરિસીમા થઈ રહે છે. આ પ્રમાણેનો નીતિનો માર્ગ મનમાં દૃઢ કરવા માટે ઉપદેશમાત્રની પ્રવૃત્તિ છે. બીજા અનુભવજન્ય ઉપદેશ કરતાં આ ઉપદેશ કાંઈક વિલક્ષણ છે. દેવતાથી દઝાય એ દેવતાને એક જ વાર અડવાથી એવું નક્કી થાય છે કે ફરી તેમ કરવાની ઇચ્છા જ થતી નથી. પણ જૂઠું બોલવાથી કે વ્યભિચારથી દુઃખ થાય છે એ કાંઈક અંશે તેમ કર્યા પછી અનુભવાયા છતાં પણ ભૂલી જવાય છે; એટલું જ નહિ પણ પુનઃ પ્રસંગ આવતાં આગળનો અનુભવ કામ લાગતો નથી. મતલબ કે સન્માર્ગ અને સુખ એ વચ્ચેનો સંબંધ સહજગ્રાહ્ય નથી. અનુભવ થયા છતાં પણ જેનો નિશ્ચય મનમાં ઠરતો નથી તે વસ્તુ કેવલ સ્વભાવસિદ્ધ જ થઈ રહે એ તો કઠિન જ. આ ફલ ગૃહણ કરાવવામાં ભય, કે નીતિના પાઠ એ કેવલ નકામા છે, તેમજ જીવનચરિત્ર એ સબલ સાધન છતાં તરત નજર આગળ ન હોવાથી કલ્પના માત્રમાં જ રહે છે, અને જોઈએ તેવી અસર કરતાં નથી. તો જીવનચરિત્રો ઉપરાંત બીજું શું જોઈએ ? કોઈ તાદૃશ, જીવતાં માણસોનાં ઉદાહરણ. તેવાં બાલકને તો પોતાના ઘરમાં મળે, કે ભણવાની શાલામાં મળે. માબાપ ભાઈભાંડુ સર્વની જેવી ચાલ, જેવી રીતિ, જેવી નીતિ તેવી જ બાલકની, શાલામાં ભણાવનાર શિક્ષકની જેવી ઢબ, જેવી ચાલ. જેવી વૃત્તિ તેવી તેનું જ અનુકરણ કરવા તત્પર રહેલા તેના વિદ્યાર્થીઓની. જ્યાં સુધી પ્રથમ, ઘરની, અને બીજી, શાલાની પદ્ધતિ શુદ્ધ નથી ત્યાં સુધી ગમે તેટલા પાઠથી, ગમે તેટલા ત્રાસથી, કે ગમે તેટલાં ભાષણથી જુવાન બાલકોની નીતિ સુધરનાર નથી. જે માતા હરવખત પોતાના બાળકને મારી નાંખવાનો ભય