પૃષ્ઠ:Nari Pratishtha.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નારી પ્રતિષ્ઠા
૧૭
 

બતાવીને પોતે જાતે જ નિરંતર જૂઠી પડતી હશે, તે પોતાના બાળકને જૂઠું બોલવાની અથવા વગર વિચારે વાત કરવાની ટેવ ગૃહણ કરતાં કેમ અટકાવી શકશે ? અથવા જે શિક્ષક ધનવાન વિદ્યાર્થીની મજાક વેઠીને પણ અસીલ વિદ્યાર્થીઓ નહિ જેવા વાંક માટે માર્યા જતો હશે તે પોતાના વિદ્યાર્થીઓને ખુશામત, અન્યાય, અમર્યાદા, તિરસ્કાર ને નિર્દયતાના ગુણ ગૃહણ કરતાં કેમ વારી શકશે ? કહેવાની મતલબ એટલી જ છે કે જો બાલકની નીતિ સુધારવી હોય તો પ્રથમ પોતાની નીતિ ને રીતિ સુધારવી એટલે બાલકની તરત જ સુધરશે. નીતિના પાઠ એ કેવલ નકામા જ છે પણ જીવનચરિત્રો, આગળ કહી તેવી તાદ્ર્શ નીતિની સહાય હોય તો, ઘણાં લાભકારી છે એ નિઃસંશય વાત છે. આટલું લંબાણ કરવાની મતલબ એટલી જ છે કે જે ઉચ્ચનીતિનો માર્ગ અમે આગળ કહ્યો તે વિષે ભાષણો રૂપે પાઠ લખીને બાળકોને તેનો ઉપદેશ કરવાનો અમારો હેતુ નથી, પણ તે નીતિએ સર્વ વયોવૃદ્ધ પુરુષ અને સ્ત્રીઓએ ચાલી બાલકોને જે મદદ ખરી જરૂરી છે તે આ રીતે કરવી એમ જણાવવાનો છે.

આ ઉપરાંત આમ લખવાનો બીજો હેતુ એવો છે કે આવા પ્રકારના વિચાર ઉપરથી કેટલાક સુજ્ઞ પુરુષો, મારા વિચાર પ્રમાણે, જે ભુલાવામાં પડે છે તેમાં ન પડે. ઘરની રીતભાત ને નીતિ, તથા શિક્ષકની રૂઢિ એ બે શુદ્ધ હોવાથી જ લાભ છે, એ સિદ્ધાંત લક્ષમાં રાખીને, આપણી હાલની સંસારી સ્થિતિથી તથા કેટલાક શિક્ષકોની રીતિથી પણ કંટાળી ગયેલા હાલના સુધારો કરતે કરતે થાકી ગયેલા વૃદ્ધ પુરુષો નિરાશ થઈને બેસે છે, ને એનો એ જ કંટાળાભરેલો જવાબ આપે છે કે જ્યાં સુધી ઘરસંસાર સુધરશે નહિ ત્યાં સુધી કંઈ ફેરફાર થનાર નથી. આ ઠેકાણે સ્વાભાવિક પ્રશ્ન છે કે શું સુધરેલી રીતિ, વહેમ વિનાનો દેશ, ને ઉત્તમ રૂઢિવાળો સંસાર એ તે સ્વર્ગમાંથી ઊતરી આવનારાં છે ? જો તેમ હોય તો આપણે વાટ જોઈને બેઠા છીએ, જ્યારે ઉત્તમ રીતિ, શુદ્ધ ધર્મ, ને નીતિપૂર્ણ મંડલ આવશે ત્યારે આપણે તદનુસાર પ્રવૃત્તિ કરીશું. પણ આ આશા જેવી ફોકટ છે તેવી નાપાયાદાર છે. શુદ્ધ નીતિ ને શુદ્ધ રીતિ તે કોણ નક્કી કરશે? ને કેમ ખબર પડશે ? મારું એમ મત છે કે કેળવણી – સદુપદેશ, સ‌દ્‌વૃત્તિ – એ જ નક્કી કરશે. यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जन: स यत्प्रमाणं कुरूते लोकस्तदनुवर्तते – જેમ શ્રેષ્ઠ પુરુષો આચરણ કરે છે તેમ બીજા પણ કરે છે, જે વાતને તે લોક પ્રમાણ ગણે છે તેને બીજા પણ ગણે છે એમ ગીતાજીમાં