પૃષ્ઠ:Nari Pratishtha.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નારીપ્રતિષ્ઠા ૩૭

છે. જે પ્રારબ્ધના નિયમને યથાર્થ રીતે સમજતાં હશે તે તો બીજો વિચાર પોતાની જાતે કદાપિ ધારતાં જ હશે નહિ; તેને જ આધીન રહી પ્રાપ્ત થયેલાં પોતાનાં કર્તવ્યમાં જરા પણ પાછાં પડતાં હશે નહિ. ખરું સુખ, ખરો ધર્મ ને ખરું કલ્યાણ આપણા ધર્મની સનાતન નીતિએ ચાલવામાં જ છે તે જાણ્યા છતાં જે અસન્માર્ગે જવા ઇચ્છે, તેને તો બ્રહ્મા પણ અટકાવી શકનાર નથી. તેમના ઉપર પણ શુદ્ધ જ્ઞાનવાળા લોકોએ ઉદાર બુદ્ધિથી પ્રીતિ રાખવી અને તેમણે અનાચારથી જે દુઃખ પ્રાપ્ત કરેલું છે તેમાં વળી તિરસ્કારની પીડા કદાપિ પણ ઉમેરવી નહિ.

*****

સૂચના — આ વિષય લખતે લખતે સમાપ્ત થઈ રહેવાના પ્રસંગમાં સ્ત્રી તો ભોગ્ય છે અને પુરુષ તેનો ભોક્તા છે એવી તકરાર મારા લક્ષમાં કોઈ વિદ્વાને આણી હતી. એ વાત સ્વીકારવાનો ફલિતાર્થ એ થાય કે સ્ત્રી પુરુષને આધીન રહેવી જોઈએ. પુરુષ સ્ત્રી જીવતાં કે તેના મુવા પછી પણ બીજી સ્ત્રીઓ કરી શકે પણ સ્ત્રી તેમ ન કરી શકે, વગેરે. ભોગ્ય અને ભોક્તા આ શબ્દો વિષે વધારે વિવેચન કરતાં એમ ઠર્યું કે જેટલા જેટલા ઉપભોગના પદાર્થ જગતમાં છે તે સર્વમાં શિરોમણિ સ્ત્રી છે, તે સમાન બીજું નથી, ને તેને પુરુષે ભોગવવાની છે. આપણાં શાસ્ત્રોમાં કહેલી આ વાતથી પણ આપણે જે આગળ કહેલું છે તેથી બીજું સિદ્ધ થતું નથી. સ્ત્રી ભોગ્ય વસ્તુમાં શ્રેષ્ઠ–સર્વ કરતાં સારામાં સારો આનંદ આપનાર–પ્રેમસ્થાન – છે. એટલે જ તેને સર્વેએ પોતાનો પ્રેમભાવ વધારી સુખી થવા માટે પોષવી જોઈએ ને પાસે રાખવી જોઈએ. સ્ત્રી દ્વારા પ્રેમભાવની વૃદ્ધિ ઇચ્છનાર અને સુખ પામનાર પુરુષ પોતે પસંદ કરેલી સ્ત્રીને, બન્ને પ્રેમમાં જ અવિચ્છિન્ન પૂર્ણ થાય માટે, પોષણ પાલન આપે છે, ને તેથી જ ભોક્તા કહેવાય છે. જો ભોગ્ય અને ભોક્તા આ શબ્દના અર્થ સ્પષ્ટ રીતે પ્રતીત થતા હોય તો, તે શબ્દના સામાન્ય અર્થ ઉપરથી જ એક કરતાં વિશેષ પતિ કે પત્ની કરવાનો જે આગ્રહ કરવામાં આવે છે તે મિથ્યા છે એ સ્પષ્ટ જણાઈ આવશે.