પૃષ્ઠ:Nari Pratishtha.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નારી પ્રતિષ્ઠા
 

જન્મ લીધાની શી સફલતા હશે? માણસનું મન પુરાતન કાલથી કોઈ શાશ્વત અવિનશ્વર વસ્તુની શોધમાં ભમ્યાં જ કરે છે. પૃથ્વી, વાયુ, આકાશ, જલ આદિથી પણ તે સંતુષ્ટ થયું નથી. સાધારણ પક્ષ જોતાં પશુપુત્રધનધાન્યાદિકની સંપત્તિથી પણ વિરામ્યું નથી. ધનધાન્યાદિ સંપત્તિની પ્રકૃતિ એવી છે કે અધિક પ્રાપ્તિની સાથે તેમને માટે અધિક ઉત્કંઠા થતી જાય છે. એમાં સંતોષની અવધિ નથી. એમ નિરવધિ અસંતોષથી નિરંતર ઉત્કંઠા ને ચિંતા થયાં જ જાય છે, ને ધનધાન્યાદિક જે આનંદ–કે સુખ આપનાર વિષય તેનાથી જ આખરે નિર્વેદ પેદા થાય છે. તે તેમનો હેતુ–આનંદ–પૂરો પાડી શકતાં નથી. એમ ભૌતિક વિષયનું સુખ ક્ષણિક, અનાનંદકર, અને નિરવધિ અસંતોષ દ્વારા નિર્વેદ પેદા કરવાવાળું છે. એને મૂકીને માણસ અનંત સુખ ક્યાં ખોળે ? એવું કયું સુખ મળે કે જેમાં ખામી ન હોય અને જે સ્વતઃ પરિપૂર્ણ અખંડ આનંદમય અબાધ હોય ? એ આનંદ બાહ્ય નથી, અબાહ્ય છે. શરીરની બહારના વિષયમાં નથી, શરીરમાં છે : આત્માના જ્ઞાનથી થતો આનંદ અખંડ, અબાધ, સ્વપૂર્ણ, અનંત છે. એ આત્મા સ્વપરતા તજી સર્વ સ્થલે પોતાના જ સ્વરૂપની પ્રતીતિ ભાળતો થાય તે એ આનંદની સીમા કહીએ તો ચાલે. એ પક્ષને અનુસરી સંસારમાં ભિન્ન ભિન્ન ભાસતા આત્મા આત્માનો યોગ પણ આનંદકારક અખંડ અનંત છે; એ જ પરમાત્મજ્ઞાનનું પ્રથમ પગલું છે. પારકાને પોતાનું કરવું, પોતે પારકા થવું, એ સંબંધમાંનો આનંદ અતુલ છે. સંસારમાં જો કહીં પણ આનંદસુખની પ્રતીતિ થતી હોય તો તે અહિંયાં જ છે. એ આનંદ પેદા કરનાર વિષય જે આત્મા તે ઇન્દ્રિયગ્રાહ્ય ન હોવાથી કોઈ પણ ઇન્દ્રિયને નિર્વેદ પેદા કરતો નથી. કેવલ જ્ઞાનગ્રાહ્ય હોવાથી આનંદ માત્ર જ ઉપજાવે છે. આત્મા ને આત્માનો અભ્યાસ અનિર્ભિન્ન ચાલ્યાં જાય છે ને પ્રેમમય આનંદ ઊપજી અંતે બે ભિન્ન ભાસતા આત્માની એકતા થાય છે. આ પ્રમાણે મનુષ્ય પોતાની સ્વાર્થવૃત્તિ તજીને પરમાર્થને માર્ગે ચડે છે. આમ એક એકના આત્માના યોગથી ઉત્પન્ન થતા સુખની સમાન અન્ય સુખ નથી, એથી સર્વ સંસારી સુખ નીચાં છે એ આપણે સિદ્ધ રીતે સમજી શકીએ છીએ, તેમજ મનુષ્યના જન્મનું સાફલ્ય પણ એ જ વૃત્તિ સર્વ જોડે કરી आत्मवत् अर्वभोओतेषु વ્યવહાર કરવામાં અને સર્વવ્યાપી પણ અલિપ્ત પરમાત્મામાં એ પ્રકારે લય પામી સંસારમાત્રથી મુક્ત થવામાં રહ્યું છે. જ્યાં સુધી આ વૃત્તિનું પ્રબલ માણસનામાં થયું નથી ત્યાં સુધી તે પોતાના