પૃષ્ઠ:Niharika.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

શું દઈએ ?


૦ સોરઠ ૦

તમને   શું   દઈએ   મહારાજ ?
મુજ ઉરઉદધિના શશીરાજ !―તમને.

દીધા પ્રાણ, દીધાં મેં તનમન,
પ્રેમલ હાસ્ય દીધાં મનમોહન,
આંખલડીનાં અશ્રુ દીધ, શું
બાકી રહ્યું હજી રાજ?—તમને.

રસસાયરની ઊર્મિમાલા
તમ કંઠે પધરાવી વ્હાલા!
દીન અમે સર્વસ્વ દીધું; શું
તો ય હજી નારાજ ?―તમને.

૯૮ : નિહારિકા