પૃષ્ઠ:Niharika.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બળઝળી જાગી રહ્યું છતાં યે
અંધારામાં આર્દ્ર અધીર હૈયું,
મૃત્યુ પીસ્યાં જીવન કેરી યાતના
સહી શકે ના યુવરાજ આજ.


આકાશિકા લટકતી અવકાશમાં ત્યાં
સિદ્ધાર્થ શોચ કરતો ડગલાં ભરે છે.
નિદ્રા મૂકી, ત્યજી સુકોમલ રંગરાગ,
એ આત્મમંથન થકી બનિયો વ્યથિત.


વ્યાધિગ્રસ્ત મનુજ કો તરફડે; કો કાલદંષ્ટ્રામહીં;
વારિબિન્દુ વિના મરે તરફડી; કો અન્ન પામે નહિ;
ખેંચી, છેતરી, છીનવી, પગ પડી, બુદ્ધિતનુ વેચીને,
દંભે પામી પૂજા અરે મનુજ શું જીવે મરે બ્હાવરો !


વળી યજ્ઞે હોમે થરથરી જતાં પામર પશુ-
નહિ વાચા બુદ્ધિ, પણ જીવિત માટે રડી રહ્યાં.
અરે અગ્નિ માંહે જીવિત તનુને શેં ઘસડવું?
અને રોતા દેહે અરર ઝટકો કેમ ઘસવો ?


રેલાતા રક્ત ફુવારે દયાળુ દેવ રીઝતો ?
ભસ્મ નિર્દોષ દેહીની ઉડાડ્યે ઈશ પામીએ ?


વાચા વિહોણાં પશુઆર્તનાદે
જાગે કૃપા ? કે પ્રભુશાપ ઊતરે ?
નિઃશ્વાસ કે શ્વાસ જ ગૂંગળાવતાં
શું સ્વર્ગ ખીલે ! નહિ, નારકી બલો !


ચિંતાચાંપ્યાં નયન નમણાં દુ;ખશ્રેણી નિહાળે,
હૈયે જાગી ઊંંડી ઊંડી મહાવેદનાને વિચારે.

બુદ્ધનો ગૃહત્યાગ : ૨૭