પૃષ્ઠ:Niharika.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જ્યહાં જ્યહાં ચેતન હાલતું હતું
અદ્ભુત ત્યાં રાજતી દીઠી એકતા.


વનસ્પતિ કીટ પશુ પતંગ
ને માનવી દાનવ દેવ સર્વ :
ઊંચાનીચા ચેતનના તરંગો
નીચે વહે એક મહાન સિંધુ.


વળી સૂતાં કો સ્થળ સિંધુવારિ
પ્રશાન્ત નિદ્રાધીન ઊર્મિહીન :
અરે ન એ તો જડ-ચેતનાની
સુષુપ્તિ – સિંધુનું અભંગ અંગ.


એ સિંધુની માંહી ભળી જવાને
આતુર સિદ્ધાર્થ બની રહ્યો ત્યાં
સંકલ્પ કીધો ગૃહ મૂકવાનો
લીધી પ્રતિજ્ઞા ગુરુની સમક્ષ.


‘ઓ દેવ ! તારક ! ગુરુ ! તમને પ્રણામ !
અજ્ઞાનના પટ ખસેડી પ્રકાશ દીધો !
નેત્રો ભરી નીરખું છું તમ દિવ્ય પંથ;
એ પંથમાં ચરણ આજ થકી ધરું છું.


આકાશનાં મણિજડિત મહાલયોને
ત્યાગી તિમિર હરવા જગમાં પધાર્યા;
તેજસ્વી સ્તંભ રચિયો – ક્ષણમાંહી લુપ્ત !
તો યે પ્રકાશ મુજ અંતરમાં ઝિલાયો.


હું યે મહાલય તજી જગ ઊતરું ને
અજ્ઞાનના તિમિરમાં પૂરું કૈંક તેજ.

૩૪ : નિહારિકા