પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
110
નિરંજન
 

ખોલીને બેઠો થયો.

"બેટી! ફિરસ્તા !” સુનીલાને શિરે એણે હાથ મૂક્યો.

સુનીલાને આ શબ્દોથી શરમ આવી. નિરંજનની હાજરી એને એ વખતે ન ગમી.

"કેમ ઓસમાનકાકા !” નિરંજને પૂછ્યું, “હવે કેમ છે ?”

“કોણ ભાઈ ? આવ્યા છો ?” ડોસો પ્રસન્ન થયો. બોલ્યો, “આનું નામ સંસાર. ઓલી –ઓલી – ગજલું – માયલું – કશુંય- છે ? હેં ?” ડોસો હાંફતે સ્વરે છતાં હસતો હસતો કહેતો હતો.

“શું કહે છે એ ?” સુનીલાએ નિરંજનને આ સમસ્યાયુક્ત વાણીનો નિગૂઢાર્થ પૂછ્યો.

નિરંજન પણ હસવું રોકવા માટે મોં ફેરવી ગયો.

સડક પર બીજા લોકો પણ એકઠાં થઈ ગયાં હતાં. ઓસમાને સુનીલા અને નિરંજનનો ટેકો લઈ, ઊઠી, ઘોડાને ફરી ગાડીએ જોડી, ધીરે ધીરે ગાડી ગામ તરફ લીધી. લેતાં લેતાં ઘોડાના પ્રત્યે બોલતો ગયો:

“તુંને ઠોકર લાગી, બેટા ? હમણાં કાંઈક ભૂખ્યો રે' છે, ખરું ? ફિકર નહીં. હાલો, આજ તો ઘેર જઈને જેટલા દાણા હોય તેટલા તારા પાવરામાં ભરી દઉં, અલારખાની માને ખબર પણ ન પડવા દઉં.”

સુનીલાની પાસે બીજો કશો સામાન નહોતો. હતી એક બગલથેલી, ને એક લાકડી. ખભે ચડાવીને એ પણ ટપ્પાની પાછળ ચાલી. નિરંજન કશું પૂછ્યા વગર જ બાજુમાં ચાલ્યો. દીવાનબંગલા તરફ ફંટાતો માર્ગ આવી પહોંચ્યો.

સુનીલાએ ઓસમાનને કહ્યું: “ઊભા રહો ડોસા, લો આ ભાડું.”

ઓસમાને રૂપિયો જોઈને પાછો આપવા માંડ્યો “બેટા ! બાઈ, પરચૂરણ નથી મારી પાસે".

“નથી જોઈતું કશું પાછું.” સુનીલાએ સખાવતનો ખ્યાલ પણ ડોસાને ન આવે તે રીતે પતાવવા માગ્યું.