પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નિરંજન નાપાસ
113
 

જીવનપુનેમની કોઈ સંધ્યાનો સમય બની ગયો હતો. દીવાન-ઘરની પરસાળમાં નિરંજનની હાલકલોલ દશા હતી.

સરયુને અને ગજાનનને ભણાવવામાં કેટલાક ગોટા વાળીને નિરંજને કલાક વિતાવી નાખ્યો, ત્યારે પેનસિલોના પંદર-વીસ નાનામોટા ટુકડા, ચાર-પાંચ પેનસિલ છોલવાના સંચા, સાતેક રબરના ટુકડા વગેરેનો ભંડોળ પોતાના પાકીટમાં ભરતે ભરતે ગજાનને નિરંજનને વિનતિ કરી - હાથનાં આંગળાં મોંમાં નાખીને જ: “માસ્તરસાહેબ, આ સુનીલાબેનનું શું ?"

“શું એટલે ?”

“એટલે તમારું ઊંટિયું, મારું વાંદરું, સરયુબેનની કૂકડી, તો આ સુનીલાબેનનું શું ?”

"સિંહણ.”

નિરંજનને એ શબ્દ બોલ્યા બાદ તરત જ સાન આવી કે કમબખ્ત કોઈ ભારી ભૂલ થઈ ગઈ છે. એણે સુનીલાના મોં પરના ભાવો જોવા ચોપડી આડેથી ચોરની માફક ત્રાંસી નજર કરી અને તુરત સુનીલાનો સ્વર આવ્યોઃ “નિરંજનભાઈ.”

“જી.”

દીવાનસાહેબની સામે કડકબોલો આ યુવક સુનીલાની સામે જીકારો કરવાની ટેવ પોતાની જીભ પરથી ન ઉખેડી શક્યો.

“તમને બોર ખાવાનો શોખ છે ?”

“કેમ ?”

“બોરડીના ઝાડ ઉપરથી પથ્થર વડે પાડીપાડીને બોર ખાવાનો શોખ છે ?”

"ખાસ તો નથી.”

"ન હોય તો કેળવવો છે ?”

“એટલે?”

“દીવાનમામાના બંગલાની પાછળની બાજુએ એક ઊંચી