નિરંજન છેક બે વર્ષનો બાળક હતો, ત્યારથી જ એ સહુને વહાલો લાગતો.
"નિરુ, કાકાને જેજે! કર તો બેટા!” – એમ બોલીને એના પિતા પોતાને ઘેર આવનાર હરકોઈ સ્નેહી સજ્જન અથવા અમલદારની સાથે બે વર્ષના નિરંજનને હાથજોડ કરાવતા. મુલાકાતે આવનાર મુસલમાન હોય તો સલામ કરાવતા.
બે વર્ષનો બાળક આટલો છટાદાર વિનય બતાવી શકે, તે દેવકીગઢ જેવા ગામમાં તારીફને લાયક વાત લેખાતી. શ્રીપતરામ માસ્તરના પુત્રનાં લક્ષણ ગામમાં વખણાતાં હતાં. પોતે ત્રીજા વર્ગના એક રાજ્યની ગુજરાતી તાલુકા શાળાના હેડમાસ્તર હોઈને, નિશાળિયાઓ પાસે આવો વિનય કરાવવાની ફરજ સમજતા, અને એજન્સીખાતાના તેમ જ અન્ય રાજ્યોના અનેક અધિકારીઓની સલામો લેવાની ભૂખ ભાંગવાનું સૌથી સારું સાધન આવી નિશાળો જ હતી.
આવું વિનય-શિક્ષણ બે વર્ષના શિશુને માટે સહેલું નહોતું. પ્રથમ તો નિરુ ઉદ્ધતાઈ કરતો: પિતાજી કોઈની સામે જબરદસ્તી કરીને નિરુને હાથ જોડાવે તો નિરુ ચીસો પાડી ઊઠતો. એટલે શ્રીપતરામ માસ્તરને થોડી વપત પડી હતી; નિરુને કહેવું પડતું: “જે જે કર કાકાને, બેટા નિરુ!”
નિરુ મોં ફેરવી જતોઃ એને દરેક મનુષ્યના ભત્રીજા થવું ગમતું નહીં.
“આમ જે જે કર તો;” જરા સખત અવાજે બોલીને પિતાજી