પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દયાપાત્ર
141
 


એ મૂંગી સંજ્ઞાઓના પાલનમાં સરયુને જે ગૂંચવાડો પડી રહ્યો હતો તેને નિરંજન તીરછી નજરે સ્પષ્ટ જોઈ શકતો હતો.

“જે પૂછવું હોય તે પૂછોને ! કંઈ હરકત નથી.” નવી બાએ નિરંજનને કહ્યું.

"મારે એમને એકલાને જ પૂછવું હતું !” નિરંજન નછૂટકે નફટ બન્યો.

“એમ તે કંઈ બને?” દીવાન-પત્નીને નિરંજનની માગણી કુદરતી રીતે જ અનુચિત લાગી.

સરયુની પાસે બેઠો બેઠો ગજાનન પણ કંઈ કંઈ નખરાં કરતો હતો. સહુ સાંભળી શકે તેવા સિસકારમાં તે સરયુની કને પોતાનું જ્ઞાન પ્રદર્શિત કરતો હતોઃ “હું જાણું છું. હં...અં ! તારું સગપણ થવાનું છે, હં...! માસ્તર જોડે, હં..! અહીંથી ચાલ્યા જવું છે, ખરું કે? અહીં નથી ગમતું તને, હં....”

“ગજુ !” એની બાએ કહ્યું, “જા, તારા બાપુજીને બોલાવી લાવ તો !”

ગજુ ગયો. બે-પાંચ મળવા આવેલા માણસોની વચ્ચે જ ગજુએ પિતાને બૂમો પાડી કહી દીધું કે, “બેનનું સગપણ થાય છે ને ત્યાં તમને બા બોલાવે છે. ત્યાં કોઈ બોલતું-ચાલતુંય નથી; લડતાં હોય તેવું લાગે છે.”

ગજુના કાનને વળ ચડાવતા ચડાવતા દીવાન શરમાઈને અંદર આવ્યા. ગજુના કાનની છીંદરી વળી ગઈ. એણે ચીસો પાડી મૂકી. ગજુની બા રાતાંપીળાં બન્યાં. દીવાનને એણે બીજા ઓરડામાં લઈ જઈ નિરંજનની માગણીની વાત કરતાં કરતાં ગજુના કાન બાબત ધમકાવી કાઢ્યા. નિરંજને સ્પષ્ટ શબ્દો સાંભળ્યા:

“તમારી છોકરી ઠેકાણે નથી પડતી તેમાં મારા છોકરા ઉપર શીદને ખારે બળો છો?”

"તો નાખી દેને છોકરીને કૂવામાં? આપી દેને અરધો તોલો