નિરંજન તરંગસાગરનાં મોજાંમાં અટવાતો-અથડાતો મુંબઈ પહોંચ્યો. જે સ્ત્રી ફરી ચાર આંખો પણ ભેળી ન થવા દેવાનો નિર્ણય બાંધીને ચાલી ગઈ હતી, તેને વળી આ શો આવેશ ઊઠ્યો? નિરંજનનું હૃદય થડક થડક થતું હતું. આજસુધી એ ડરતો નહોતો તે હવે ડરવા લાગ્યો. એની બાજુમાં હવે સરયુનું દયામણું જીવન ચાલ્યું આવતું હતું. સરયુ એની ગોદમાં સમાવા આવતી હતી. હવે જો સુનીલાનો મોહ જીવતો થશે, તો સરયુનો કોમલ દેહ પણ ગોદમાં ખૂંચશે. ડર કંઈ જેવો તેવો નહોતો. કેમ કે સરયુને સંભારતાંની વાર જ હૃદયમાં દયાની લહર વાઈ રહેતી, ઊર્મિના ઓઘ નહોતા ઊછળતા.
નથી ચાહવું, નથી લોભાવું, નથી ભૂરકીમાં અંજાવું, એવો નિશ્ચય છતાં નિરંજન સુનીલાની પાસે ફક્કડ હજામત કર્યા વગર ન જ જઈ શક્યો. આવા સુંદર બની, નાહીધોઈ, સ્વચ્છ કપડે જવાનું કશું જ પ્રયોજન નહોતું. ટ્રેનમાંથી ઊતરીને તે સીધેસીધો પણ જઈ શકત – તારની તાકીદ તો ખરી રીતે એમ જ માગતી હતી – છતાં સ્ત્રી-પુરુષની પ્રકૃતિનું એ રહસ્ય સમજવું જટિલ નથી.
એ ગયો ત્યારે સુનીલાએ એને આખી વાત કરી. વાત દરમ્યાન એની આંખોના પ્રદીપો તદન સ્થિર હતા: ઊર્મિનો કોઈ વાયુ વાતો નહોતો.
“મારે કશી જ હોહા નહોતી કરવી, નથી કરવી.” નિરંજને જવાબ આપ્યો.
"કેમ?” સુનીલાને નવાઈ લાગી, “વિદ્યાપીઠમાં વિપ્લવ જગાવવાનો તો આ મોકો છે.”
એ શબ્દોમાં કટાક્ષ હતો કે કેમ, તેની વ્યર્થ શોધ નિરંજન સુનીલાની મુખરેખાઓમાં કરી. પછી એણે કહ્યું: “મારે તમારું