"પેલી રકાબીમાં જ રાખ પાડશો કે?”
લાલવાણી લજવાઈ ગયો. બેઉ છૂટા પડ્યા.
તે દિવસ દરિયાની નાનકડી સફર નિરંજનના મન ઉપર કોઈ એવી અસર કરી ગઈ કે, કોણ જાણે ક્યાંથી, એને આવતો શિયાળો સાંભર્યો: શિયાળે તો પોતાનાં લગ્ન થવાનાં છે.
પણ લગ્નની શી એવી ઉતાવળ છે? થોડો કાળ જવા દઉં તો? કયું કારણ બતાવી મુદ્દત લંબાવવી?
હા, બરાબર છે. સરયુ આગળ અભ્યાસ કરે એ જરૂરનું છે. એકાદ વર્ષ કોઈ સારા વિદ્યાલયમાં મુકાય તો એના દિલની તેમ જ દેહની ખિલાવટ થાય.
સરયુનાં માબાપ એ માનશે? સરયુ પોતે કબૂલ કરશે? કેમ નહીં કરે? હું કેટલો આત્મભોગ આપીને પરણવા તત્પર થયો છું ! અને મારી લાગણીને શું એ બધાં આટલું માન નહીં આપે?
પણ મારી એ લાગણી કઈ, જે આટલા માનની આશા સેવે છે? મારી દયાની લાગણી -
એવી વિચાર-સાંકળીને ટપાલીના ઠબઠબાટે તોડી નાખી. એક પરબીડિયું હતું. ‘નોટ-પેડ’ હતું. હશે કોઈક ગામડિયા સગાનું, કોઈક બેકાર ભાઈ-દીકરાને મુંબીમાં ઠેકાણે પાડી દેવાનું ! ખૂબ સતાવે છે આ બધા ગામડાંના પિછાનદારો ! નથી જોઈતું પરબીડિયું. કાઢવા દે પાછું, એટલે 'નોટ-પેડ' લખતાં બંધ પડી જાય.
ટપાલી છેક બહાર નીકળી ગયો તે પછી વળી વિચાર આવ્યો કે