પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'મારા વહાલા!'
163
 

લાવ, હવે એક વાર લઈ લઉં. ટપાલીને પાછો તેડાવી એણે બે આના ભરી આપ્યા.

ફોડીને વાંચે તો કાગળનું સંબોધન જ ભડકાવનારું !

“મારા વહાલા!”

કાગળનું સંબોધન એટલેથી જ નહોતું અટકી જતું.

“મારા વહાલા શુભોપમાં યોગ્ય સ્વામીનાથની ચિરંજીવી ઈશ્વર અખંડ રાખે.” વગેરે વગેરેનો શંભુમેળો!

લખનારે કોઈ પરાયા પ્રેમપત્રોમાં કદી ડોકિયું કર્યું જણાતું નહોતું. વીસમી સદીના ચડતા સૂર્યને વિશે એ એક વિસ્મયની વાત લાગી.

અંદર લખ્યું હતું કે:

હવે મને અહીં જરીકે ચેન પડતું નથી. બહુ મૂંઝાઉં છું. પરણીને પછી મને ઠીક પડે ત્યાં રાખજો. દાસીને દયા કરી આ કેદખાનામાંથી છોડાવો. દાસીના અપરાધ થયા હશે, તેની ક્ષમા કરો. હું તો અણસમજુ છું. વધુ શું લખું? આ કાગળ માળીની ઓરડીમાં બેસી બેસી ત્રણ દિવસે પૂરો કરું છું. ટપાલમાં નાખવા ગજુને આપ્યો છે. તમને પહોંચશે કે નહીં પહોંચે? પકડાશે તો મારા ભોગ મળશે.
લિ. તમારી અપરાધી દાસી
સરયુના ચરણ-પ્રણામ.
 


આ પ્રથમ પત્ર ! આ પ્રેમપત્ર? કે દયાની અરજી? જેની જોડે લગ્ન કરવાનું છે, તેનો પહેલો જ પત્ર કેમ કશી પુલક જગાડતો નથી ? રોમેરોમ તનમનાટ કાં મચાવતો નથી? આવેશોના પારાવાર ઉપર ચંદ્રિકાની ચડતી કલા નીલ હૃદય-તરંગોના દૂધલા મલકાટ કાં નથી છલબલાવતી?

બિચારી – બાપડી – બંદિની ચરણોમાં ઢળી અપરાધોની દયા વાચે છે ! દુખિયારી છે ખરેખર. દયાનું નિરાધાર પાત્ર છે, પણ – પણ પ્રેયસી તો નથી જ નથી. પ્રણયોર્મિના અનુલ્લંઘનીય આદેશો નથી ગાજતા એના શબ્દોમાં. સ્નેહરાજ્ઞીની તેજમૂર્તિ આમાં ક્યાં તપે છે? ક્યાં તપાવે છે?

નિરંજન દયાર્દ્ર બન્યો. સ્નેહની મસ્તી ન અનુભવી શક્યો. હૃદય