લાવ, હવે એક વાર લઈ લઉં. ટપાલીને પાછો તેડાવી એણે બે આના ભરી આપ્યા.
ફોડીને વાંચે તો કાગળનું સંબોધન જ ભડકાવનારું !
“મારા વહાલા!”
કાગળનું સંબોધન એટલેથી જ નહોતું અટકી જતું.
“મારા વહાલા શુભોપમાં યોગ્ય સ્વામીનાથની ચિરંજીવી ઈશ્વર અખંડ રાખે.” વગેરે વગેરેનો શંભુમેળો!
લખનારે કોઈ પરાયા પ્રેમપત્રોમાં કદી ડોકિયું કર્યું જણાતું નહોતું. વીસમી સદીના ચડતા સૂર્યને વિશે એ એક વિસ્મયની વાત લાગી.
અંદર લખ્યું હતું કે:
- હવે મને અહીં જરીકે ચેન પડતું નથી. બહુ મૂંઝાઉં છું. પરણીને પછી મને ઠીક પડે ત્યાં રાખજો. દાસીને દયા કરી આ કેદખાનામાંથી છોડાવો. દાસીના અપરાધ થયા હશે, તેની ક્ષમા કરો. હું તો અણસમજુ છું. વધુ શું લખું? આ કાગળ માળીની ઓરડીમાં બેસી બેસી ત્રણ દિવસે પૂરો કરું છું. ટપાલમાં નાખવા ગજુને આપ્યો છે. તમને પહોંચશે કે નહીં પહોંચે? પકડાશે તો મારા ભોગ મળશે.
સરયુના ચરણ-પ્રણામ.
આ પ્રથમ પત્ર ! આ પ્રેમપત્ર? કે દયાની અરજી? જેની જોડે લગ્ન કરવાનું છે, તેનો પહેલો જ પત્ર કેમ કશી પુલક જગાડતો નથી ? રોમેરોમ તનમનાટ કાં મચાવતો નથી? આવેશોના પારાવાર ઉપર ચંદ્રિકાની ચડતી કલા નીલ હૃદય-તરંગોના દૂધલા મલકાટ કાં નથી છલબલાવતી?
બિચારી – બાપડી – બંદિની ચરણોમાં ઢળી અપરાધોની દયા વાચે છે ! દુખિયારી છે ખરેખર. દયાનું નિરાધાર પાત્ર છે, પણ – પણ પ્રેયસી તો નથી જ નથી. પ્રણયોર્મિના અનુલ્લંઘનીય આદેશો નથી ગાજતા એના શબ્દોમાં. સ્નેહરાજ્ઞીની તેજમૂર્તિ આમાં ક્યાં તપે છે? ક્યાં તપાવે છે?
નિરંજન દયાર્દ્ર બન્યો. સ્નેહની મસ્તી ન અનુભવી શક્યો. હૃદય