સુનીલાએ પાછાં જઈને બારણું બંધ કરી દીધું.
એ પાછી આવતી હતી ત્યારે નિરંજનની નજર એના મોં પર ચોટી જ રહી ને એ ઉશકેરાટ અનુભવીને બોલી ઊઠ્યો: “અરે, આ શું ! આટલું બધું -”
છેલ્લો શબ્દ 'સામ્ય' એ મનમાં મનમાં બોલી ગયો. એનો હાથ કોઈ મોતી ઢૂંઢતા મરજીવાની માફક સાગરને છેક તળિયે લાગ્યો હતો.
એ તલસ્પર્શમાંથી જવાબ મળ્યો: ફક્ત એક જ અણસાર. આંખોને સ્થિર રાખવાની એક જ અણસાર બેઉની મળતી આવે છે. લાલવાણીના મોં પર હું એ એક જ અણસારને આધારે સુનીલા ભાળતો હતો. એ આંખોને મેં શું એટલા જ માટે ચૂમી હતી ! અત્યારે જાણે એ ચહેરો મને પૂરો યાદ પણ નથી આવતો. શી લીલા !
“કેમ?” નિરંજને પૂછ્યું, “મારું પરાક્રમ તો જાણ્યું હશે.”
“ઊડતી વાતો.”
“ઊડતી નથી; ડાળે બેઠેલી નિશ્ચિત વાતો છે.”
“મારે શું?"
એટલું કહીને સુનીલાએ પોપચાં નીચે ઢાળ્યાં ને નિરંજને આજે પહેલી જ વાર સ્વપ્નમાં જોતો હોય તેવી અશ્રદ્ધાથી જોયું કે સુનીલાની આંખોમાં સહેજ આંસુ છે.
"મારી કલંકકથાથી તમને શું છે તે આટલાં પરિતાપ પામો છો?”
સુનીલાએ આડી વાત નાખી દીધી: “બા તો ગયાં –"
“ક્યાં?”
“દીવાનાની ઈસ્પિતાલે.”
“અરે રામ !”
બીજા ખંડમાંથી એક બાળકનો અવાજ સંભળાયો: “બા ! બા ! ઓ બા !”
"આવ ! સુધીર, અહીં આવ!” નાનો ચારેક વર્ષનો બાળક એક બિલ્લીનું બચ્ચું ઉઠાવીને અંદર આવ્યો.