પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભર્યો સંસાર
179
 


"આ કોણ?” નિરંજને પૂછ્યું.

“બા કહેનાર બીજું કોણ હોય ?”,

નજીક આવેલા છોકરાને સુનીલાએ ખોળા પર બેસાર્યો.

“કોઈ અનાથાશ્રમમાંથી ?”

“ના, એક સનાથ ઘરમાંથી.” વધુ ને વધુ મલકાટ એના મોં પર વેરાતો હતો.

"બાપુ ક્યારે આવશે, બા ?” બાલકે પૂછ્યું.

“હવે આવતા હશે.”

“પાડોશીનો ?” નિરંજને પૂછ્યું.

"નહીં, સહવાસીનો.”

“સહવાસી ? તમારા સહવાસી !”

“ખરેખર મારા જ. પંદર દિવસથી એના પિતા મારે ઘેર જ રહે છે, જોડે રહે છે. અમે એકબીજાની પિછાન કરીએ છીએ. પિછાન લગભગ પૂરી થઈ ગઈ છે.”

“હવે ? લગ્ન ?”

“સગવડે નોંધાવી લઈશું. કશી ઉતાવળ નથી. ઘર અહીંથી ખાલી કરવાનું છે. પાડોશીઓનો જીવ કચવાય છે.”

“ક્યાં ફેરવશો ?”

“એક ખ્રિસ્તીધર્મીઓના બ્લોકમાં. ત્યાં કોઈ કોઈની વાતોમાં તરડ દ્વારા જોતું નથી, સહુ પોતપોતાનું સંભાળીને રહે છે.”

ત્યાં તો દ્વાર ભભળ્યું ને એક ચાળીસેક વર્ષનો જણાતો પુરુષ અંદર આવ્યો. એના હાથમાં કાગળોનું દફતર હતું. પોશાક સવારે તાજો જ પહેરેલો તેના ઉપર કાળાશ વળી ગયેલી. ચહેરો અત્યંત આકર્ષકતા ન દાખવતો છતાં ભલમનસાઈથી ભરેલો હતો. શરીરનો મરોડ કસાયેલો હતો.

સુનીલા જોડે એક યુવાન એક જ સોફા ઉપર બેઠો છે, છતાં આવનારે કશી અસાધારણતા ન અનુભવી. બીજા ખંડમાં જઈ એણે