મળતો રહેશે ત્યાં સુધી જ હું તમારે ઘેર રહેવાની.”
"હું તમને ખાતરી આપું છું કે એ ચહેરો નહીં બદલે.”
"કેમ ?”
"કેમ કે એ તો તમારા મનોભાવની જ મુદ્રા છે ને ? મૂળ ચહેરાના ઘાટઘૂટમાં તો કશું જ નથી.”
“ત્યારે તો હું સપડાઈ ગઈ.”
“કેમ ?"
“સુધીર ચહેરો બદલાવશે, એટલે એવું ઠરશે કે મારો મનોભાવ ભૂંસાઈ ગયો.”
“હા જ તો.”
નિરંજન આ વાર્તાલાપનો ચૂપ સાક્ષી બની ગયો. એને ગમ ન પડી કે પોતે તે કનકની દુનિયા ગુમાવી બેઠો છે, કે જીતી ગયો છે !
“હું કપડાં સરખાં પહેરીને આવું છું, હો !”
એમ કહી એ પુરુષ ગયો, ને સુનીલાએ કહ્યું: “છેલ્લી વારનાં આજે જોડે જ જમીશું ?”
“તમારા આ સંબંધની કોઈને જાણ છે ?”
“તમને એકને જ જાણ નથી; બીજાં સર્વ જાણે છે કે મને ફિટકારે છે.”
“ફિટકારે શા માટે ?"
“એટલા માટે કે મેં કોઈ રૂપવંતા રસીલા નવજુવાન પર મારું જીવન ન ઓવાર્યું, કે ન કોઈ પ્રોફેસર, સિવિલિયન, બેરિસ્ટર અથવા દેશભક્ત જોયો.”
“આટલી બધી ઠંડક રાખીને તમે બોલી શકો છો ?”
“એટલી ઠંડક ન રાખું તો તો મનની આગ મને ખાક કરી નાખે.”
નિરંજનને તો ન સમજાય તોય સાંભળવું ગમતું હતું. પૂછવા ખાતર એણે પૂછ્યું: “બા આવશે ત્યારે ?”
"ત્યારે આ બે બચ્ચાં ભેગું એ પણ ત્રીજું એક બચ્ચું.”