એવી કોઈ અસ્ત્રી હજી મેં જાણીસૂણી નથી. અલ્લાની સાખે કહું છું, હજાર ગુના પણ ઈમાનદાર મરદાઈને માથે અસ્ત્રી માફ કરે છે. નક્કી જાણજે. અને મૂરખા ! અસ્ત્રિયું તો તારામારા જેવી ગમાર નથી; મલકમાં મરદાઈ ગોતી જડતી નથી, એ વાત ઓરત બરોબર જાણે છે. એ ન ભૂલ ખાય, લાલા !”
વાતો કરતાં કરતાં તો ઓસમાનકાકાના ચીંથરેહાલ ફેંટામાંથી ફૂલછોગાં બહાર નીકળી પડયાં ટપ્પા ઉપર એ અરધો ખડો થઈ ગયો, જાણે પોતે કોઈ નવલખા રાજતોખાર પર ચડયો હોય તેવી અદાથી પોતાની તકલાદી લગામને પણ હાથમાં રમાડતો રમાડતો હાકોટા દેવા લાગ્યોઃ “ઘોડાં લઈ જાય રે તુંને ઘોડાં !”
નાહીને બેઉ પાછા વળ્યા ત્યારે દીવાનબંગલા પાસે ટપ્પો થંભાવીને ઓસમાને બંકી છટા કરી પછવાડે નિરંજન તરફ મોં ઝુકાવ્યું. એ મરોડમાં પ્રશ્ન હતો: પરબારો પહોંચને !.
નિરંજને ઠેક મારીને ટપ્પો છોડ્યો
“ખેરિયત થઈ સમજજે !” એવી દુવા દેતો દેતો ઓસમાનડોસો ગામ ભણી ગયો.
નજરે પહેલવહેલી સરયું જ પડી. તાજા સ્નાને સરયુની લટો હજુ ભીની હતી. કેશમાંથી સરયુ ટુવાલની ઝાપટ મારી પાણી ખંખેરતી હતી. આંખોમાં અનંત આકાંક્ષાઓનું ઘૂંટેલું અંજન હતું.
નિરંજનને નિહાળતાં એ જાળીની પછવાડે ચાલી ગઈ. ત્યાંથી એની આંખોની મીટ મંડાઈ રહી. એ હમણાં જ જાણે હસશે – કે રડી પડશે. હાસ્ય અને રુદનની વચ્ચેના કોઈક નિગૂઢ પ્રદેશમાં એ ભૂલી પડી હતી. આ જ સરયુ ? આવતી કાલની આ શું ગૃહિણી ? સ્વામીની સેવિકા ? ભોજને માતા ? શયને રંભા ? કાર્યે દાસી ? કર્મે સચિવ? પૃથ્વી-શી ક્ષમામૂર્તિ
મને તિરસ્કાર કેમ નથી દેતી ? મારી કથા નહીં જાણી હોય ?
જો, એ મને ઘડીભર રોકવા તલસે છે, ખાંસી ખાય છે, ખોંખારે