છે, ને છેલ્લે નિઃશ્વાસ પણ મૂકે છે.
છતાં હું તો ભયનો જ માર્યો અંદર ચાલ્યો જાઉં છું !
દીવાનસાહેબ તો નિરંજનને જોતાં જ હર્ષઘેલા બની ગયા. ખૂબ આદરભાવ કરીને નિરંજનને બેસાર્યો. બૂમેબૂમ પાડવા લાગ્યા: ગજુ ! સરયુ ! અરે ત્યાં કોણ છે ? સહુને કહો કે નિરંજન આવી ગયા છે. ચાલો બહુ સારું થયું. બાપુસાહેબ વિલાયત જવાના છે. તે પૂર્વે જ બધું મંગળ વર્તી રહેશે. ઘણું કરીને તો બાપુસાહેબની જોડે એક મજબૂત સેક્રેટરીની જરૂર છે, તેનોય મેળ મેળવી લેવાશે. ને બાપુસાહેબને પણ હવે વતનનું અભિમાન જાગી ઊઠ્યું છે કે રામગઢ ફોર રામગઢીઝ. ઑલ ધ રેસ્ટ આર એલિઅન્સ. એ બધું પણ અમારે જ ઊભું કરવું પડયું છે. વસ્તીને માટે કંઈક કરી છૂટીએ તો –”
“હું થોડી વાત કરવા માગું છું.” નિરંજને એક વાક્ય બોલતાં એક પહાડ ઓળંગ્યો.
“હા, હા, એક શું બે વાત કરીએ. પણ હું જરા કહી દઉં, મેં મુંબઈ ખાતેની બધી 'સ્કેન્ડલ' જાણી છે. મારા મનમાં એ વિશેનું કશું નથી."
“પણ એ વાતનું તત્ત્વ સત્ય છે.”
"ભલે રહ્યું. એવાં બખડજંતરો તો બન્યા જ કરે. હું સાંકડી મનોવૃત્તિનો માણસ નથી. એ તો સંસાર માંડયા પછી એની જાતે જ ઠેકાણે પડી જવાય. મારી જ વાત કરું ? હા-હા-હા-હા એ બધું જ કૉલેજ-જીવનમાં તો એવું ને એવું. માટે –"
"મારી વાત બીજી જ છે.”
"શી છે ? તમારાં માતાપિતાને લગતી ને ? અરે ભાઈસાહેબ, તમારા પિતાજી પણ કંઈ જિદ્દી ! મેં કહ્યું કે હું સ્ટેટમાંથી કંઈક જિવાઈ કરાવી આપું. તમે ફક્ત એક અરજી આપો. કહે કે બસ, અરજી આપું ? ગરીબ બનીને માગું ? મારો દીકરો મુંબઈમાં મોં શું બતાવે ? એમ કહીને ધરાર અરજી ન આપી. કહો, તમારી મુંબઈની પ્રતિષ્ઠાનો પણ ડોસાને