પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
16
નિરંજન
 

લઈને ટેબલ પર મૂકે તેના પીળા ડાઘ ત્યાં છપાઈ રહે; પાણીના માટલાને ખંખાળે નહીં, પ્યાલો માટીને બદલે સાબુથી જ માંજી લે; મેલાં કપડાંનો ફાવે ત્યાં ઢગલો કરે; ને પોતાના ભીના હાથ, પોતાનો ટુવાલ ન જડે ત્યારે, નિરંજનના ટુવાલે પણ લૂછી નાખે; હજામત કરતોકરતો સાબુના ફીણનાં છાંટણાં પાણીના ગોળા પર પણ છંટકારે; પથારીની ચાદર પંદર દહાડે પણ બદલે નહીં; ને પ્રભાતમાં ટૂથબ્રશ ઘસતો-ઘસતો પેસ્ટના લચકા પરસાળ પર જ થૂંકે – એવી જે કૉલેજજીવનની નિત્યની જીવનચર્યા - તેનાથી કંટાળો પામનાર નિરંજન કયા મોટા મહાત્માનો બેટો હતો ! જો એટલી બધી ચાવળાઈ હોય તો તો પછી જાય નહીં ગાંધીજીના આશ્રમમાં જ !

પેલો સમાજવાદી સેક્રેટરી સવારે આઠ વાગ્યે જાગીને સિગારેટ સાથે લટાર મારતો મારતો નિરંજનને સંભળાવવા માટે સહુને એમ જ કહ્યા કરતો: “ચોખ્ખાઈ એ પણ 'બૂર્‌ઝવા વર્ચ્યુ' જ છે. એવી ચાબાઈ મૂડીદારવર્ગની જ મનોદશા રજૂ કરે છે !”

એકાદ વિદ્યાર્થીએ ભેદ ફોડી નાખ્યો કે, “એ ભાઈસાહેબ એક પંતુજીના પુત્ર છે, એટલે પંતુજીવેડા કરે જ ને !”

આ ખુલાસાએ નિરંજનના 'અનકૉલેજિયન-લાઇક' આચાર-વિચાર વિશેની સમસ્યા તમામનાં હૃદયમાં ઉકેલી આપી. ભરવસ્તી વચ્ચે એકલો પડી ગયેલો નિરંજન તે દિવસથી શહેરની એક સામાન્ય ચાલીમાં રહેતો હતો, ને એક ટંક કોઈ લૉજમાં જમી બીજા ટંકને પાંઉ-ચા તેમ જ કેળાં વડે જ પતાવી લેતો.

એણે ક્લબ અને હોસ્ટેલ છોડ્યા પછી વિદ્યાર્થીઓનાં મન પરનો ભાર હળવો થઈ ગયો હતો. પોતાનાં માબાપોની ગરીબીના અકાળ ભાનમાંથી તેઓ બચી ગયા હતા. અને ક્લબના સોશિયાલિસ્ટ સેક્રેટરીની રૂમમાં જ્યારે સૌ ફીસ્ટ જમીને બેસતા ત્યારે માબાપનો પ્રશ્ન ખાસ છણાતો. સેક્રેટરી સૌને સમજ પાડતો કે માબાપ પ્રત્યેની ખોટી દયા ઉશ્કેરવામાં આવે છે: માબાપ આપણા ખરચા ઉઠાવે છે તે કાંઈ નવાઈ