પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
26
નિરંજન
 

પાલવ ધરી બહારની હવાથી દીવાને ઓલવાતો રોકે છે.

એ ચાલી ગઈ. ઉપર એક મકાનનાં કમાડ બિડાતાં સંભળાયાં. નિરંજનના માથામાં આ નવા દાવથી તમ્મર આવ્યાં. એણે પેલાનો ડગલો છોડી દીધો.

વિજયી પ્રતિસ્પર્ધી હસતો હસતો, બાકી રહેલું અપમાન પૂરું કરતો ચાલતો થયો.

નિરંજન એકલો પડ્યો, ગમ ખાઈ ગયો. આ શું? સુનીલા અહીં ક્યાંથી? હું મકાન તો ભૂલ્યો નથી? દીવાનસાહેબને શોધવાના બહાના તળે મારું મગજ કોઈ બીજી જ શોધ તો નહોતું, કરી રહ્યું?

પોતે હસ્યો: નાહક વિચારો આવ્યા, એમાં શું? એ અહીં રહેતી હશે, ને દીવાનસાહેબના યજમાન પણ અહીં રહેતા હશે.

પણ આજે સુનીલાના હૃદયમાં કેવી કાળી છાયા પડી હશે? પેલાએ સુનીલાની હૃદયકુંજમાં કેવો ઝેરી નાગ રમતો મૂકી દીધો ! ને એનું કહેલું તો જરૂર જરૂર માન્ય ગણાશે. મારા પ્રત્યેના ગઈ કાલના ઉપકારને સુનીલાના હૃદયના અનુરાગે રંગાયેલો માની લઈ જરૂર મેં એવી ડંફાસ મારી હશે, એમ માનવું મારે માટે – એક કોલેજિયનને માટે – શું નવું છે?

એમ એક પછી એક તમામ વિચારો પોતપોતાનો હવાલો આપતા પસાર થઈ ગયા ત્યારે છેવટે એક જ ભાવ, બજી ચૂકેલા ઘંટના ગુંજારવ સમો, તેના અંતરમાં રમતો થયો. સાચે જ શું, મારામાં મારું લોહી તપવા જેટલો અગ્નિ હજુ રહ્યો છે? આજે મારાથી ચડિયાતું શરીરબળ છો મને છૂંદી ગયું. પણ મેં કેવળ માર ખાઈ જ લીધો નથી. એના મારથી મારું મનોબળ તૂટી નથી પડ્યું. મેં એના કોટનું ગળું ઝાલ્યું હતું. ને કોટના ગળાથી દેહનું ગળું ઝાઝું દૂર નથી હોતું. કાલે મામલો ઊભો થશે તો મારો પંજો એટલા અંતરને પણ વટાવી શકશે.

એ મનોભાવે એને માણસાઈ આપી. નિરંજન જાણે કોઈક રૂના ઢગલામાંથી બહાર નીકળ્યો. નાનપણથી માંડી તે દિવસ સુધી એણે ન