પણ બીજી જ પળે એનું ધ્યાન પોતાના કામમાં પરોવાયું.
દાદર પરના રણસંગ્રામની નવી ખુમારી નિરંજનના હૃદયમાં જાગ્રત હતી. એણે બે હાથ જોડવાને બદલે દીવાનસાહેબની સામે એક જ હાથે નમન કર્યું ને “આવો મિસ્તર, બેસો, બેસો,” એટલો વિવેક પૂરો થતાં પહેલાં તો એણે શાંતિથી એક ખુરશી રોકી લીધી.
દીવાનને વીંટળાઈને બીજા ચાર-પાંચ મહેમાનો બેઠા હતા. દીવાનસાહેબની ઉંમર અડતાળીસ વર્ષથી વધુ નહીં હોય. શરીર લઠ્ઠ તો નહીં પણ ભરાવદાર: પેટ સહેજ બહારપડતું: આંખોનો તરવરાટ ચશ્માંની આરપાર દેખાય: બોડેલી મૂછો: પાયજામો ને કુડતું પહેર્યાં હતાં.
નિરંજન બેઠો ત્યારે દીવાનસાહેબે વાક્ય ઉચ્ચાર્યું: “લીગ ઓફ નેશન્સનું તો ભારી બખડજંતર થઈ ગયું, કેમ નહીં?”
પાસે બેઠેલા એક ગૃહસ્થ પાસે છાપું હતું. તેણે તરત જવાબ દીધો: “ખરું કહ્યું આપે. આ જુઓને, અમારા પેપરની સાંજની આવૃત્તિમાં ચોખ્ખો તાર છે ને!” એમ કહેતાં એણે પેપર ઉપાડ્યું.
બાજુમાં બેઠેલ બીજાએ કહ્યું: “એ તાર પછી સવાર સુધી બીજો કોઈ તાર ન આવે ત્યારે જ માની શકાય કે તમારો તાર સાચો.”
“પણ અમારા જિનીવા ખાતેના ખાસ પ્રતિનિધિ તરફથી –”
“ખાસ પ્રતિનિધિને નામે જ તમારાં છાપાંઓ છબરડા વાળે છે.”
એ જવાબથી પેલા છાપાવાળા સજ્જને મોંના છીત-છીત-કાર કરી, ચહેરો બગાડીને કહ્યું: “આ તો તમે જ છબરડો વાળ્યો, સાહેબ!”
ત્રણ મિનિટ સુધી એ બગડેલો ચહેરો સરખો ન થયો.
દીવાનસાહેબ હસ્યા ને બોલ્યા: “હા સાળું, તમારું છાપાવાળાનું કંઈક એવું બખડજંતર તો ખરું જ, હો ભાઈ!”
નિરંજનને દીવાનસાહેબનો આ પ્રિય શબ્દ 'બખડજંતર' બહુ ગમી ગયો. એના હોઠ બખડજંતર શબ્દને હર પ્રયોગે મરક મરક થવા લાગ્યા.
એમ પ્રજાસંઘનું ભાવી, રૂઝવેલ્ટની નિષ્ફળતા, શંકરાચાર્યનો