“મારે માટે એક 'સેન્ટિમેન્ટ' થઈ પડ્યો છે હો મિસ્તર, કે મુંબઈ આવું છું ત્યારે હું અહીં જ ઊતરું છું. હોટેલોમાં કે લોજોમાં અથવા કોઈક મોટા મહેલવાસીને ત્યાં ક્યાં વળી બખડજંતર કરવા જાઉં? અહીં ઊતરવાથી તો સુનીલાબહેનની અને એમનાં બાની સંભાળ પણ લેવાય; ને મને સાદાઈ ગમે છે તેથી પણ અહીં રહેવામાં જેટલું ઘર જેવું લાગે તેટલું બીજે ન જ લાગે.”
નિરંજનને હવે પૂરી સમજણ પડી કે આ તો આખું ઘર જ સુનીલાનું છે. એટલે પછી એ વધુ કાળજી ને કુતૂહલથી મકાનની દીવાલો, ખૂણા, અભરાઈ, કબાટ અને ઘરનાં ઝીણાંમોટાં રાચરચીલાનું નિરીક્ષણ કરવામાં ડૂબ્યો.
સુનીલા આવી પહોંચી. સાથે અઢારેક વર્ષની એક કુમારી હતી. એના કેશ ઉપર કાંસકીના દાંતા હજી બે મિનિટ પૂર્વે જ ફરેલા હોય એવું દીસતું હતું.
ને નિરંજને અટકળ કરી લીધી કે આ પોતે જ દીવાનસાહેબની દીકરી સરયુ, જેની કુમારી અવસ્થાનો ઉલ્લેખ પિતાજીના એક પત્રમાં હતો.
“આવો, સરયુબહેન ! બેસો અહીં.” પિતાજીએ ખુરશી બતાવી. સુનીલા પણ બાજુમાં જ બેઠી.
સરયુનો ચહેરો સુંદર હતો. પિતા કૉલેજમાં જે વેળા વર્ડ્સવર્થનું કાવ્ય 'સોલિટરી રીપર' (અકેલી ખેડુકન્યા) ભણતા હશે, તે સમયની કલ્પના જાણે દેહ ધરીને દુનિયા પર ન ઊતરી હોય !