પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
60
નિરંજન
 


પોતાની બહાદુરીમાં પ્રિન્સિપાલ મોટો ભાગ પડાવી જતા લાગ્યા. અને સુનીલા – સુનીલા હમણાં જ અહીંથી નીકળીને સાઈકલ પર ચડી ઘેર ચાલી ગઈ. એણે તો મને કશીય શાબાશી ન આપી. અભિનંદનના ભાવથી ભીંજેલો એક આછો મલકાટ પણ એના હોઠ ઉપરથી ન ઝર્યો. એની આંખો તો ઊલટાની ઠંડાગાર મૌનની વાણીમાં એવું કશુંક બોલતી હતી કે, 'જાણ્યું જાણ્યું, ભલા માણસ ! તમે બહુ બહુ તો એક સુંદર વાર્તા લખી કાઢી. પણ ખરી ભવ્યતા કંઈ એ વાર્તામાં નથી, એ વાર્તા પ્રત્યે મોટું મન દાખવનાર વિદેશી પ્રિન્સિપાલમાં છે.'

ત્રણ દિવસ સુધી સુનીલા, સરયુ અને બાકીની તમામ દુનિયા વીસરાઈ ગઈ હતી. એ બધા ફરીથી એના અંતરને સતાવવા લાગ્યાં, તોફાનનો તોર ઓસરી ગયો તે ઠીક ન થયું. આ જિંદગી નશો કરીને જ જીવવા જેવી નથી શું ? કોઈપણ એકાદ આવેશનું મદિરાપાન જો કઠોર ધરતી પરના સંસારને ભુલાવી નાખી આપણને અવાસ્તવના નીલાકાશમાં લહેરાવતું હોય, તો એવા કોઈ આવેશના ચાલુ કેફમાં જ કાં ન જીવવું ?

ત્રણ દિવસના આકાશવિહારને અંતે પૃથ્વી પર પટકાયેલો નિરંજન ફરીથી પેલાં ત્રણેય જણાંની મોટર-સહેલગાહ ઉપર કલ્પનાનાં હરણાં કુદાવવા લાગ્યો. એના કલાકો એ માનસિક નરકાગારમાં વીતતા થયા.

દુઃખની પળો તો સીસાના રસથી ભરેલી હોય છે. એ દોડતી નથી, ચાલે છે – કીડીના કરતાંય કમતી વેગે, અને ચક્કીની માફક ચગદતી ચગદતી.


13
સ્નેહની સાંકળી

"શું બન્યું હતું?” એવા સવાલો કરતાકરતા કેટલાક જુવાનો નિરંજનને વાતોએ ચડાવવા છાત્રાલય તરફ લઈ ગયા. ત્યાં પેસતાં પેસતાં કેટલાક