પોતાની બહાદુરીમાં પ્રિન્સિપાલ મોટો ભાગ પડાવી જતા લાગ્યા. અને સુનીલા – સુનીલા હમણાં જ અહીંથી નીકળીને સાઈકલ પર ચડી ઘેર ચાલી ગઈ. એણે તો મને કશીય શાબાશી ન આપી. અભિનંદનના ભાવથી ભીંજેલો એક આછો મલકાટ પણ એના હોઠ ઉપરથી ન ઝર્યો. એની આંખો તો ઊલટાની ઠંડાગાર મૌનની વાણીમાં એવું કશુંક બોલતી હતી કે, 'જાણ્યું જાણ્યું, ભલા માણસ ! તમે બહુ બહુ તો એક સુંદર વાર્તા લખી કાઢી. પણ ખરી ભવ્યતા કંઈ એ વાર્તામાં નથી, એ વાર્તા પ્રત્યે મોટું મન દાખવનાર વિદેશી પ્રિન્સિપાલમાં છે.'
ત્રણ દિવસ સુધી સુનીલા, સરયુ અને બાકીની તમામ દુનિયા વીસરાઈ ગઈ હતી. એ બધા ફરીથી એના અંતરને સતાવવા લાગ્યાં, તોફાનનો તોર ઓસરી ગયો તે ઠીક ન થયું. આ જિંદગી નશો કરીને જ જીવવા જેવી નથી શું ? કોઈપણ એકાદ આવેશનું મદિરાપાન જો કઠોર ધરતી પરના સંસારને ભુલાવી નાખી આપણને અવાસ્તવના નીલાકાશમાં લહેરાવતું હોય, તો એવા કોઈ આવેશના ચાલુ કેફમાં જ કાં ન જીવવું ?
ત્રણ દિવસના આકાશવિહારને અંતે પૃથ્વી પર પટકાયેલો નિરંજન ફરીથી પેલાં ત્રણેય જણાંની મોટર-સહેલગાહ ઉપર કલ્પનાનાં હરણાં કુદાવવા લાગ્યો. એના કલાકો એ માનસિક નરકાગારમાં વીતતા થયા.
દુઃખની પળો તો સીસાના રસથી ભરેલી હોય છે. એ દોડતી નથી, ચાલે છે – કીડીના કરતાંય કમતી વેગે, અને ચક્કીની માફક ચગદતી ચગદતી.
"શું બન્યું હતું?” એવા સવાલો કરતાકરતા કેટલાક જુવાનો નિરંજનને વાતોએ ચડાવવા છાત્રાલય તરફ લઈ ગયા. ત્યાં પેસતાં પેસતાં કેટલાક