પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્નેહની સાંકળી
61
 

વિદ્યાર્થીઓની અરસપરસ પૂછપરછ એને કાને પડી.

એક જણ મોટા અવાજે બીજાને પૂછતો હતોઃ “કાં, જાની, ડોસાનું રજિસ્ટર-બજિસ્ટર આવ્યું કે નહીં?”

“ના ભાઈ, આ વખતે તો ડોસા ઝોલું ખાઈ ગયા છે.”

“હાં, તે તો મેં તારી ખાલી પડેલી સિગારેટની પેટી પરથી જ જાણી લીધું.”

“અરે યાર, સિગારેટના તો શું, ઝેર ખાવાના પૈસા નથી.”

“ઝેરમાં નાણાં શા માટે ખરચવાં?”

"ત્યારે ?”

“આ ઈલેક્ટ્રિક ટ્રેનો દોડી જાય છેને ! પાટા પર સૂઈ જાને, બચ્ચા ! પાઈનો ખર્ચ નહીં ને ડોસાને તારા ખાંપણનીય ચિંતા નહીં.”

“ત્યારે કોણ, તારો ડોસો ખરીદી મોકલશે?”

“નહીં રે, આપણા સહુનો ડોસો, કોરોનર.”

‘ડોસો' શબ્દ કૉલેજના જુવાનો પોતાના પિતાને માટે યોજતા હતા. નિરંજનને લાગ્યું કે પ્રત્યેક જુવાનને મન 'ડોસો' જાણે કે માસિક રૂ. ૩૦નું રજિસ્ટર મોકલનાર કોઈ દેણદાર છે ને પોતે બધા પૂર્વજન્મનાં લેણાં વસૂલ કરવા આવેલા લેણિયાતો છે.

નિરંજનને શ્રીપતરામ ડોસા સાંભર્યા. આ વખતે પિતા ખરચી મોકલવાનું કેમ ચૂક્યા હશે ?

એ વાતનો ખ્યાલ વહી જતી નૌકાના લિસોટાની જેમ એના મનની સપાટી પરથી પાછો ઊઠી ગયો ને જુવાનોની જોડે નિરંજન વાર્તાલાપમાં ઊતર્યો. સ્વાભાવિક રીતે જ કૉલેજના જાહેર જીવનનો મુદ્દો મોખરે આવ્યો. કોઈકે કહ્યું: “રાષ્ટ્રભાવ ખીલવવાની જરૂર છે.”

નિરંજને મોટાઈનો ડોળ કર્યા વિના કહ્યું: “મને તો આ બધી ભાવનાઓ કેવળ આપણી વાદાવાદીની અને આપણા કસરત માગતાં ભેજાંઓની માનસિક લેજીમ લાગે છે.”

"ત્યારે તમે શું કહેવા માગો છો ?"