બધા નવી પતાકાને નિહાળવા તલસતા હતા.
પ્રિન્સિપાલે વાવટા પરનું ચિત્ર ધારી ધારીને તપાસ્યું. “સુનીલા!” એણે પૂછ્યું, “આ ચિત્રનો મર્મ મને સમજાવશો?”
ભારતવર્ષમાં છેલ્લાં દસ વર્ષોથી રહેતા એ ગોરા આચાર્યને પહેલી જ વાર ખબર પડી કે ભારતવર્ષની જ્ઞાનદેવીનું આટલું સૌમ્ય સ્વરૂપ કલ્પવામાં આવેલું છે. એણે માથા પરથી ટોપી ઉતારી.
"હવે એ સ્તવન ફરીથી ગાશો, નિરંજન?”
પ્રિન્સિપાલની વિનતિથી નિરંજને ફરી ગાન ઉપાડ્યું. એની સાદી પંક્તિઓને બીજા સૌએ ઉપાડી લીધી. મર્દોનાં ગળાં સમૂહમાં ગાય છે ત્યારે સ્ત્રીકંઠ કરતાંય વધુ મધુર ઘોર-રવ ઊઠે છે. એ ઘેરા ગંભીર ઘોષમાં એક જ ઝીણો નારી-રણકાર હતો.
ગાન પૂરું થયે પ્રિન્સિપાલે નિરંજન પાસે જઈ કહ્યું: “હું દિલગીર છું. હું સમજેલો કે બીજા જ એક ધ્વજનો તમાશો થવાનો છે.”
“તમાશો નહીં સાહેબ, વંદન.” નિરંજને સુધારો કર્યો. “એ વંદન આજે અમારી તાકાત બહાર છે, વિવાદની વસ્તુ છે, માટે જ અમારે પામર બનીને આ નિર્દોષ મેંઢા જેવો ધ્વજ લાવવો પડ્યો. આપની દિલગીરી અમારા દુ:ખમાં વધારો કરનારી છે.”
"ખેર, નિરંજન, આજના પ્રાતઃકાલની ભાવનાને હું તકરારથી દૂષિત કરવા નથી માગતો. આપણે છૂટા પડી જઈશું?” એમ કહીને એણે નિરંજનના દેહ પરથી ધૂળ-કચરો ઝાપટ્યાં, ને કહ્યું, “યુ બેટર કમ, હેવ એ કપ ઓફ ટી વિથ મી. (ચાલો, મારી સાથે ચા પીઓ.)"
“ના જી," કેટલાક વિદ્યાર્થીઓએ વિનતિ કરી. “આપને વાંધો ન હોય તો અમે હોસ્ટેલમાં જ સૌ સાથે પીએ.”
“લો, એ તો વધુ સારું. લઈ જાઓ સુખેથી. સુનીલા, તમે પણ સાથે જાઓ.” કહીને ગોરો આ શરમથી બચવા ઝટપટ પોતાને બંગલે ગયો.