પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
88
નિરંજન
 

સુનીલાએ નામ આપ્યાં. જવાબ મળ્યોઃ “સિનેમા જોઈને મોડા આવેલા એટલે સૂતા હશે.”

ચાનાં પ્યાલા અને રકાબી દરેક જણ જાતે જ માંજી ચકચકિત કરી લઈ આવ્યો. નિરંજને આ બધી નવીનતા નિહાળી. વિગતોમાં નાની લાગતી આ અસર તત્ત્વતઃ નાનીસૂની નહોતી. વસંતની બહાર જેમ વૃક્ષોની ઝીણી ઝીણી ટશરોમાંથી જ ડોકાય છે, તેમ સૌંદર્યનો નવજાગ્રત આત્મા પણ મનુષ્યની નાનીમોટી અભિરુચિની અંદર પગલીઓ પાડે છે. હોસ્ટેલના તરુણજીવનમાં આજે સાચી શ્રી – સૌંદર્યદેવી લક્ષ્મીનું શતદલ ઊઘડતું હતું.

એ અડધો કલાક ચુપકીદીથી જ વીત્યો. ચોખ્ખા વાદળમાં શરદની સફેદ વાદળીઓ છવાય તે રીતે એ નીતરતાં પ્યાલા રકાબીના આછા રણકાર અને એથીયે આછાં સ્મિત મલકી રહ્યાં.

“હવે ચાલીશું? સહુને વાંચવું હશે.” કહીને સુનીલાએ સહુનાં મોં તપાસ્યાં.

કેટલાંક માથાં નીચે ઢળી ગયાં. તેમને સુનીલાના બોલમાં ટકોર લાગી.

દરવાજા સુધી સહુ વળાવવા ગયા. નિરંજન-સુનીલાના પગ આગળ ધપતા હતા, પણ કાનના તાર તો પછવાડે જ સંધાઈ રહ્યા હતા. પછવાડેથી તો માત્ર નવો મધપૂડો રચતી માખોના ગણગણાટ જેવો જ માનવ-રવ સંભળાતો હતો. એથી વધુ કશું જ નહીં.

રસ્તામાં સુનીલા તદ્દન ચુપ હતી, એની ચુપકીદી નિરંજનને મૂંઝવતી હતી. એને તરેહતરેહની શંકાઓ સતાવવા લાગી: ન બોલવાનું શું કારણ હશે?

માર્ગે એક નિર્જન રસ્તો આવ્યો. બનેનાં પગલાં તાલમાં પડતાં હતાં. ઊંંચા લીમડા પર બેઠેલ કબૂતર જાણે કે એ બેઉની એકતાલ ગતિ વિશે ચાડી કરતુંકરતું ઘૂઘવતું હતું.

નીરવતા અસહ્ય બની. નિરંજને વાત ઉચ્ચારી: “અજબ વાત,