પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૩
વીણાનું સ્વરમેલન.

(અનુષ્ટુ૫.)
શિલાપૂર્ણ કિનારે આ તરંગો પછડાય છે;
સિન્ધુના સુરમાં કહો ને, કિયા રાગ ગવાય છે? ૧

સન્ધ્યા આ સુણતી ઊભી રાગ એ પારખી સકે;
અને નીરવ આ વ્યોમ ઊંડા એ સ્વર ઓળખે.૨

મ્હારી આ ઉરવીણાને ધરું એ સ્વર ઝીલવા,
તન્ત્રી ના કમ્પતી એક્કે કરું યત્નો નવા નવા.૩

(દ્રુતવિલમ્બિત.)
મથન વ્યર્થ બધાં મુજ એ ગયાં,
સુરતણાં ધ્વનિ ના ઉર વાગિયા,
કળી સકું નવ કારણ એતણું,
અનુભવું મન દુખ જ એ ઘણું. ૪

( ગીતિ.)
"વીણાતન્ત્રી ત્હારી વણસાડી ત્હેં પ્રમાદથી વત્સ !
વ્યર્થ જશે શ્રમ ઊંધા, તન્ત્રીરચના ન સાધતો સત્ય”. ૫
(અનુષ્ટુ૫.)
સુણી આકાશવાણી એ, કૌતુકે દષ્ટિ ફેંકતો
બન્યો હું બ્હાવરો પૂરો, મૂર્તિ ના કાંઇ દેખતો.૬