પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૮


મ્હારાં રમકડાં : પૃષ્ઠ ૧૩–૧૮.

આ કાવ્યની કલ્પના સ્પષ્ટ થવા માટે નીચેની મ્હારી નોંધ ઉપયોગમાં આવશે :—

“મ્હારા કવિત્વના બાલ્યકાળમાં તારા, ચન્દ્ર, મેઘ, –એ મ્હારી કવિત્વવૃત્તિનાં પરિચિત રમકડાં હતાં; ‘ચંદા’ કાવ્યમાં જેમ ચંદા તારા વગેરે જોડે સ્વચ્છન્દ રમતી જોઈ છે તેમ મ્હારી કવિત્વવૃત્તિ પણ નિર્દોષ, આનન્દમાત્રથી પ્રોત, બાલ્યગુણથી એ ઉત્તમ લોકના પદાર્થો સાથે સમાનભાવથી રમતી હતી.

આ ‘કુસુમમાળા’નાં કાવ્યોના સમયની સ્થિતિ હતી. પછી ‘હૃદયવીણા’ના કાળમાં હું ઊંચા, ઝીણા, આકાશમાર્ગમાંથી નીચે પડ્યો ! પડ્યો કહું ? શા માટે ? કાંઈ જ નહિ. મારી કવિતા જુદા પ્રદેશમાં વહી; ગમ્ભીર પ્રવાહમાં પડી; જે બાલ્યકાળમાં મ્હારાં રમકડાં હતાં, — જે’ને સ્વચ્છન્દ અડકતાં હું ડરતો ન્હોતો, —તે હવે મ્હને ગમ્ભીર ભાવની સૂચનાઓ કરનારાં જણાયાં, અને માન, ભય, વગેરે મિશ્ર ભાવથી ( awe થી) તે તરફ મ્હારી વૃત્તિ રહી. બાલક, (buoyant) બાલક ગુમ થયો; The still sad music of humanity નું ગમ્ભીર શ્રવણ કરનારો પૂર્ણાવસ્થાનો પુરુષ તે સ્થળે આવ્યો.”